શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદ મુસ્લિમો ઘરેથી બહાર નીકળતા પણ ડરે છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદથી મોહમ્મદ હસન ઘરેથી બહાર નીકળતા નથી. તેમને ડર છે કે બોમ્બ બ્લાસ્ટ બાદથી દેશમાં તણાવનો માહોલ છે અને તેમની પર મુસ્લિમ હોવાના કારણે હુમલો થઈ શકે તેમ છે. 41 વર્ષીય હસન એક પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે પરંતુ તેમનો પરિવાર તેમને ઘરે જ રહેવાનું કહે છે.

માટાગોડામાં આવેલી જુમ્મા મસ્જિદમાં નમાઝ માટે આવેલા હસને કહ્યુ, મારા પરિવારને ડર લાગે છે કે જો હું બહાર નીકળ્યો તો ખબર નહીં પાછો ફરીશ કે નહીં. ગયા રવિવારે ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં ચર્ચો અને હોટલોમાં થયેલા તાબડતોડ 8 બોમ્બ બ્લાસ્ટમાં 350થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે.

મુસ્લિમ સમુદાયના આર.એફ.અમીરે કહ્યુ કે અમે સુરક્ષા ઈચ્છીએ છીએ. અમે ઘણા ડરેલા છીએ કેમ કે કોઈ પણ અમને ટોપીમાં જુએ છે તો તે પોતાનો દુશ્મમ સમજે છે. અમે તમામને જણાવવા ઈચ્છીએ છીએ કે આપના દુશ્મન અમે નથી. આ અમારી પણ માતૃભૂમિ છે.