દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આયુષ્માન ભારત યોજનાને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધનને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, દિલ્હીમાં પહેલેથી જ એક સારી સ્વાસ્થ્ય યોજના લાગૂ છે. તેવામાં તેને બંધ કરી અને બીજી આયુષ્માન યોજના લાગૂ કરવામાં આવે તો તેની અસર દિલ્હીવાસીઓ પર પડશે.
અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખી કહ્યું છે કે, જો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આયુષ્માન ભારત યોજનામાં કંઇ જુએ છે જે દિલ્હીની સ્વાસ્થ્ય યોજનામાં નથી તો તેઓ અમને જણાવી શકે છે. તેને દિલ્હીની સ્વાસ્થ્ય યોજનામાં સમાવી લેવામાં આવશે. મને તમને જણાવતા ખુશી થાય છે કે, દિલ્હીમાં તો આયુષ્માન ભારત યોજના ઘણાં સમય પહેલાંથી જ લાગૂ થઇ ચૂકી છે. દિલ્હી સરકારની સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત યોજનાથી 10 ગણી મોટી અને વ્યાપક છે. દિલ્હી સરકારની યોજનામાં પહેલાથી જ તે બાબતો છે જે આયુષ્માન ભારતમાં છે પરંતુ દિલ્હીવાસીઓ માટે વધુ ઘણી સારી સુવિધા છે.

