મેચ રદ થતા ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન, ન્યૂઝીલેન્ડને ફાયદો

ખેલ-જગત મુખ્ય સમાચાર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ છે. દિવસભર થયેલા વરસાદના કારણે મેદાન રમવા લાયક રહ્યું ન હતું. જેથી ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ રદ કરી દીધી હતી. મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. ભારત 3 મેચમાં 5 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

આ વર્ષે ભારત સામે શ્રેણી ગુમાવી ચૂક્યું છે ન્યૂઝીલેન્ડ
પોઇન્ટ વહેંચવાના કારણે ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડની સરખામણીએ વધારે નુકસાન થયું છે. ભારત સાથે પોઇન્ટ વહેંચ્યા પછી ન્યૂઝીલેન્ડની નોકઆઉટમાં જવાની સ્થિતિ મજબૂત બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને હરાવ્યું છે. સાથે ટાઇટલના પ્રબળ દાવેદાર ભારત સામે એક પોઇન્ટ મળ્યો છે.

જેથી વરસાદના કારણે મેચ રદ થવી તેના માટે ફાયદાકારક સાબિત થઈ છે. કારણ કે જે ફોર્મમાં વિરાટ કોહલીની ટીમ ચાલી રહી છે તેના કારણે તે જીતની પ્રબળ દાવેદાર હતી. ભારતે આ વર્ષની શરુઆતમાં ન્યૂઝીલેન્ડને તેની ધરતી ઉપર 4-1થી હરાવ્યું હતું. જોકે વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું.

ભારતનું પલડું ભારે

ભારતે ન્યૂઝીલેન્ડને છેલ્લી 8 વન-ડે મેચમાંથી 6 માં હરાવ્યું છે. છેલ્લી બે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને જે અંદાજમાં હરાવ્યું હતું તેનાથી ભારતની તાકાતનો અંદાજ મળે છે. ભારતે પોતાની બંને મેચો તાકાતવર ટીમો સામે જીતી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પ્રમાણમાં નબળી ટીમો સામે જીત્યું છે. આવા સમયે ટીમ ઇન્ડિયાનું પલડું ભારે હતું.