અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો તો સાફ થઈ ગયો છે પણ મંદિર બનાવવા માટેના ટ્રસ્ટને લઈને સાધુ સંતો વચ્ચે વિખવાદ શરુ થઈ ગયો છે.
આ બાબતે સંત સમાજ વચ્ચે મતભેદો સર્જાયા છે.અયોધ્યાની તપસ્વી છાવણીના મહંત સર્વેશ્વર દાસે પરમહંસ દાસનો બહિષ્કાર કરી દીધો છે.તેમનુ કહેવુ છે કે, પરમહંસ દાસને ઉત્તરાધીકારી બનાવ્યા હતા પણ તેમનુ આચરણ યોગ્ય નથી,આજથી તપસ્વી છાવણી સાથે પરમહંસ દાસને કોઈ સબંધ નથી.
આ મામલામાં રામ મંદિર નિર્માણ માટે ઉપવાસ કરનારા સંત પરમહંસ દાસ અને શ્રી રામ જન્મબૂમિ ન્યાસના વરિષ્ઠ સદસ્ય ડો.રામવિલાસ વેદાંતીનો એક ઓડિયો વાયરલ થયો છે.જેમાં પરમહંસ દાસ પર અભદ્ર ટિપ્પણી કરાઈ છે.એ બાદ નાની છાવણી સ્થિત સંખ્યાબંધ સંતોએ તપસ્વી છાવણી ખાતે પહોંચીને હંગામો કર્યો હતો.
એ પછી પોલીસને સ્થળ પર પહોંચવુ પડ્યુ હતુ.પોલીસે પરમહંસ દાસને જિલ્લા બહાર મોકલી દીધી છે.સાથે સાથે તપસ્વી છાવણીની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.એ પછી સંતો વચ્ચેનો શાબ્દિક જંગ ઉગ્ર બન્યો છે.
હંગામ બાદ ન્યાસના વરિષ્ઠ સદસ્ય ડો.રામવિલાસ વેદાંતીએ કહ્યુ છે કે, કોઈ મારા અવાજમાં વાયરલ ઓડિયોમાં વાત કરી રહ્યુ છે અને પરમહંસ દાસ મને બદનામ કરવાનુ ષડયંત્ર રચી રહ્યા છે.મેં ક્યારેય પૂજ્ય નૃત્ય ગોપાલ દાસ માટે પણ અઘટિત શબ્દો વાપર્યા નથી.
પરમહંસ દાસે ઓડિયો વાયરલ થયા બાદ કહ્યુ હતુ કે, રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ રામ સત્તા અને સંપત્તિની લાલસામાં રામ મંદિરના નિર્માણના પૈસા વાપરી રહ્યા છે.એ પછી નૃત્ય ગોપાલ દાસના સમર્થકો એ પરમહંસ દાસના ઘર પર હુમલો પણ કર્યો હતો.જોકે સમય પર પહોંચેલી પોલીસે તેમને બચાવી લીધા હતા.
દરમિયાન રામ વિલાસ વેદાંતીના ઘરની સુરક્ષા પણ વધારાઈ છે.બીજી તરફ પરમહંસ દાસે મહંત નૃત્ય ગોપાલ દાસ પર પોતાની હત્યા કરાવવા માટે સમર્થકોને મોકલવાનો આરોપ લગાવ્યો છે તેમજ તપસ્વી છાવણી પર કબ્જો કરવાની કોશિશનો આક્ષેપ પણ કર્યો છે.

