અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું, ધર્મ આધારિત દેશોમાં અલ્પસંખ્યકોનું શોષણ થાય છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય નાગરિક બની ચૂકેલા બોલિવૂડ સિન્ગર અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું છે. સોમવાર રાત્રે લોકસભામાં પાસ થયેલા આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળોએ ભારે વિરોધ કર્યો છે. 

નાગરિકતા સુધારણા બિલના વિરોધ વચ્ચે અદનાન સામીએ ટ્વિટ દ્વારા બિલનું સમર્થન કરતા લખ્યું કે, નાગરિકતા સુધારણા બિલ એ ધર્મોના લોકો માટે છે, જેમનું ધર્મ આધારિત દેશોમાં શોષણ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ ધર્મ હોવાને કારણે કોઇનું શોષણ નથી થતું કારણ કે ત્યાં મુસ્લિમ બહુમતીમાં છે. મુસ્લિમ પહેલાની જેમ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. કાયદેસરના રસ્તે તેમનું સ્વાગત છે.

આ સાથે સામીએ આ બિલ પર ટિપ્પણી કરનારા દેશોની પણ ટીકા કરી હતી. પાકિસ્તાનનું નામ લીધા વગર સામીએ ટ્વિટ કરી હતી કે, ભારતના આંતરિક મામલાઓમાં અન્ય દેશે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. 

ઉલ્લેખનીય છે કે, અમેરિાકના કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિઝિયસ ફ્રીડમે આ બિલને બંધારણ વિરુદ્ધ દર્શાવ્યું હતું. આ સિવાય પાકિસ્તાન પણ આ મામલે ટિપ્પણી કરી રહ્યું છે. 

લોકસભામાં બિલ પાસ થયા પછી દિલ્હીમાં વસેલા પાકિસ્તાનથી આવેલા હિન્દુઓએ ઉજવણી કરી હતી.