અમદાવાદના હાથીજણ-વાડજ-થલતેજ સહિતના વિસ્તારોમાં સમીસાંજે વરસાદ, સુઇગામમાં કરા પડ્યા

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. હાથીજણ અને વિવેકાનંદનગર સર્કલ ઉપરાંત વાડજ, થલતેજ, સાબરમતી સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો. એકાએક પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. લોકો પણ સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતાં તીવ્રતમ ઠંડી અનુભવી હતી. હજી આવતીકાલે પણ સામાન્ય વરસાદની આગાહી છે.

સુઈગામમાં કરા સાથે ધોધમાર અને બનાસકાંઠાના અન્ય તાલુકામાં પણ પવન સાથે વરસાદ

આજે સવારથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અંબાજી, દાંતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું. જો કે બપોર બાદ જિલ્લાના સુઈગામમાં પવન સાથે કરા અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હતું. તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
સુઇગામ તાલુકામાં પાકનો સોથ વળી ગયો
સરહદી સુઇગામ તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને સાંજે સાડા ચાર વાગ્યે ગાજવીજ અને ભારે પવન ચાલુ થઈ જતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. જોકે સરહદી સુઇગામ વિસ્તારના છેવાડાના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, લગભગ દશેક મિનિટ વરસેલા વરસાદ ને લીધે ખેતરોમાં ઉભેલા એરંડાના પાકનો સોથ વળી ગયો હતો, ઠેરઠેર વૃક્ષો ની ડાળીઓ પણ તૂટી ગઈ હતી, તો કરાના મારથી કેટલીક જગ્યાએ ઘરો પરનાં વિલાયતી નળિયાં તૂટી જવાના અને કેટલાક મકાનોના છાપરાં પણ ઉડી જવાના સમાચાર મળ્યા હતા. વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી છે,વારંવારના કમોસમી માવઠાના મારથી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ગુરુવારે ફરીવાર બપોર બાદ કરા અને વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતોને માથે નવી આફત આવી છે. કરા અને વાવાઝોડા સાથે સરહદી સુઇગામ પંથકના છેવાડાના ગોલપ, નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા, ભરડવા, કોરેટી, મમાણા, કાણોઠી, જેલાણા ખડોલ,ચાળા,ધનાણા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યારે સુઇગામ તાલુકાના અન્ય ગામોમાં આંધી તોફાન સાથે સામાન્ય વરસાદ થયો છે. વરસાદ અને વાવાઝોડાને કારણે ઉભેલા પાકને ભારે નુકસાન થયું હતું. જ્યારે શિયાળુ પાકો જીરું,ઇસબગુલ,રાયડો,સહિત ફળફળાદી અને શાકભાજી ના પાકોને ભારે નુકશાન થયું છે.
દિયોદર તાલુકો
દિયોદર પંથકમાં ગુરુવારે બપોરે આકસ્મિક રીતે મેઘરાજાનું આગમન થતાં ગતિશીલ પવન સાથે ત્રાટકેલા કરા સાથે વરસાદ થયો હતો. વરસાદના લીધે દિયોદર તાલુકામાં એરંડા, કપાસ, રાયડો, જીરુ, ઘાસચારો વગેરે પાકનો સોથ વળી ગયો હતો ત્યારે ખેતરોમાં નીચાણવાળા વિસ્તારોમાં સંપૂર્ણ પાણી ભરાઇ ગયા હતા. અડધો કલાક સુધી ત્રાટકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા . આકસ્મિક વરસાદ 42 મીમી પોણા બે ઇંચ નોંધાયો હતો.
ધાનેરા તાલુકામાં ખેતીમાં નુકસાનની ભીંતી
અચાનક વરસાદને પગલે ધાનેરા તાલુકાના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને આખો દિવસ પણ વાદળછાયુ વાતાવરણ રહેતા જગતના તાતે મહામહેનતે વાવેલ રાયડા, એરંડા તેમજ અન્ય પાકોમાં નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. આ અંગે રામજીભાઇ પટેલે જણાવ્યું હતું કે આ માવઠાથી એરંડાના પાકને વધુમાં વધુ નુકસાન છે. તેમજ જે શાકભાજીનું વાવેતર કરેલ છે તેમને પણ મોટુ નુકસાન થાય તેમ છે. વાતાવરણ આવુ વાદળછાયુ રહે તો ખેતીમાં ભારે નુકસાન થવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.