દિલ્હીમાં જીત બાદ LGને મળ્યા કેજરીવાલ, 16 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે શપથ ગ્રહણ

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલ જી અનિલ બેજલને મળ્યા. આ સિવાય આજે આપના ધારાસભ્યોની બેઠક પણ યોજાશે.

અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે ત્યાં દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં દિલ્હીની જનતાએ એકવાર ફરી અરવિંદ કેજરીવાલને જીત અપાવી છે. દિલ્હીની 62 બેઠકો પર આપે જીત નોંધાવી છે.

અરવિંદ કેજરીવાલની વિધાયક દળના નેતા તરીકે પસંદગી

વિધાયક દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલને નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. બેઠકમાં મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

ચૂંટણી પ્રભારી સંજય સિંહ આ પ્રક્રિયાના ઈનચાર્જ હતા, જે બાદ ધારાસભ્યોએ બહુમતીથી કેજરીવાલની પસંદગી કરી.

ભાજપે માત્ર 8 બેઠકો પર જીત મેળવી. કોંગ્રેસનો સ્કોર આ વખતે પણ શૂન્ય રહ્યો. જોકે ગત સમયની સરખામણીએ ભાજપે આ વખતે વધારે બેઠકો જીતી છે પરંતુ આંકડાકીય રીતે 10ની ઈનિંગ સુધી પણ પહોંચી શકી નહીં.

દિલ્હી ભાજપના બે નેતા રહ્યા, જેનું કેજરીવાલની આંધીમાં પણ કંઈ બગડ્યુ નહીં. રોહિણી વિધાનસભા બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તા જીત્યા અને વિશ્વાસનગરથી ત્રીજીવાર ઓમ પ્રકાશ શર્મા ધારાસભ્ય બન્યા. વિશ્વાસનગરમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઓમ પ્રકાશ શર્માએ કોંગ્રેસને હરાવીને બીજી વાર આ સીટ પર કબ્જો જમાવ્યો હતો.