દેશમાં કોરોનાના કેસ 26,000ની નજીક દૈનિક વૃદ્ધિદર 6 ટકાના સૌથી નીચા સ્તરે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ૨૫,૦૦૦ નજીક પહોંચી ગઈ છે. શનિવારે તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પોઝિટિવના નવા કેસો નોંધાયા છે. જોકે, સરકારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના પોઝિટિવ કેસનો દૈનિક વૃદ્ધિદર શનિવારે ૬ ટકાના સૌથી નીચા સ્તરે હતો. જોકે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬થી વધુનાં મોત નીપજ્યાં છે. જેને પગલે કુલ મૃત્યુઆંક ૭૭૯ થયો છે. ૫૫૦૦થી વધુ લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અંદાજે ૫.૮ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, સરકારે ચીનમાંથી બે કંપનીઓ પાસેથી મંગાવેલી રેપિડ ટેસ્ટ કિટ ખામીવાળી હોવાની ફરિયાદો પછી ઝડપી પરિક્ષણો હાલ અટકાવી દીધા છે. બીજી બાજુ દિલ્હી સરકારે જણાવ્યું હતું કે પ્લાઝમા થેરપીના પરિણામો પ્રોત્સાહનજનક જણાતાં વધુ દર્દીઓ પર તેનો પ્રયોગ કરાઈ રહ્યો છે. કર્ણાટકે પણ શનિવારથી આ ટ્રાયલ શરૂ કર્યા છે અને રાજસ્થાને પણ આ ટ્રાયલ્સ શરૂ કરવા તૈયારી દર્શાવી છે.

દરમિયાન કેન્દ્ર સરકારે બધી જ દુકાનોને ખોલવા માટે રાજ્ય સરકારોને મંજૂરી આપી છે ત્યારે દિલ્હી સરકાર ેજણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના આદેશનો દિલ્હીમાં અમલ કરાશે પરંતુ મહારાષ્ટ્ર સરકારે ૩જી મે સુધી રાજ્યમાં કોઈપણ જાતની છૂટછાટ આપવાનો ઈનકાર કરી દીધો છે. ગુજરાતે પણ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જ્યારે આસામે આ અંગે સોમવારે નિર્ણય કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૪,૯૪૨ થઈ છે જ્યારે ૫,૨૦૦થી વધુ લોકો સાજા થયા છે. આમ, દેશમાં રીકવરી રેટ ૨૦ ટકા જેટલો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે નવા કેસોમાં દૈનિક વૃદ્ધિનો દર ૬ ટકાના નીચા સ્તરે છે, જે દેશમાં ૧૦૦ કેસનો આંક વટાવ્યા પછીનો સૌથી નીચો દર છે. બીજીબાજુ આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાના કેસનો આંક ૧,૦૦૦ને વટાવી ગયો છે.