ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કિપર એમ એસ ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી બાકી નિકળતા 40 કરોડ રુપિયા લેવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આમ્રપાલી ગ્રુપ પર એમ પણ હજારો લોકોને ઠગવાનો આરોપ છે ત્યારે ધોનીએ કરેલા કેસથી તેની મુશ્કેલીઓ વધી શકે છે. 2009માં ધોની આ ગ્રુપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો.તેની સાથે તે 6 વર્ષ જોડાયેલો રહ્યો હતો.2016માં જ્યારે ગ્રાહકોએ કંપની પર ઠગાઈનો આરોપ લગાવ્યો ત્યારે ધોનીએ આ ગ્રુપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો.ધોનીની પત્ની સાક્ષી પણ આમ્રપાલી ગ્રુપની ચેરિટી સંસ્થા સાથે જોડાઈ હતી. સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ શર્મા અને બીજા બે ડાયરેક્ટર શિવ પ્રિય અને અજય કુમારને જેલના સળિયા પાછળ 28 ફેબ્રુઆરીએ મોકલી આપ્યા હતા. ધોનીના કહેવા પ્રમાણે આમ્રપાલી ગ્રુપે હજી સુધી બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ફી ચુકવી નથી.જેમાં 22.53 કરોડ મૂળ રકમ અને 16.42 કરોડ રુપિયા વ્યાજનો સમાવેશ થાય છે.