વડાપ્રધાન તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની વિમાની મુસાફરીના ખર્ચ પેટે એર ઈન્ડિયાએ સરકારને 443 કરોડ રુપિયાનુ બિલ પકડાવ્યુ છે.જોકે તેમાં હજી છેલ્લી પાંચ વિદેશ યાત્રાઓમાં થયેલા ખર્ચનો સમાવેશ થયો નથી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પીએમ મોદીએ પાંચ વર્ષમાં કરેલા 44 વિદેશ પ્રવાસોનુ આ બિલ છે.જે પીએમઓને મોકલવામાં આવ્યુ છે.આ રકમ પીએમઓ દ્વારા એર ઈન્ડિયાના એકાઉન્ટમાં જમા કરાવાશે.
જોકે પીએમ મોદીનો વિમાની મુસાફરીનો ખર્ચ અગાઉના પીએમ મનમોહનસિંહ કરતા ઓછો છે.તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 39 દેશોની મુસાફરી કરી હતી અને તેનો વિમાન યાત્રાનો ખર્ચ 493 કરોડ રુપિયા થયો હતો.
જોકે પીએમ મોદીની છેલ્લી પાંચ યાત્રાઓના ખર્ચનો ઉમેરો કરાશે ત્યારે અગાઉની પીએમ મનમોહનસિંહ કરતા તેમની વિમાની મુસાફરીનો ખર્ચ વધી જશે તેમ લાગે છે. જોકે પીએમ મોદી એક જ પ્રવાસમાં સંખ્યાબંધ દેશોની મુલાકાત લેતા હોય છે.
જેના કારણે તેમની મુસાફરીનો ખર્ચ ઓછો આવે છે. આ મહિનાના અંતમાં પીએમ મોદી યુએઈ જવાના છે.જે તેમની વર્તમાન ટર્મની છેલ્લી વિદેશ યાત્રા હશે. 443 કરોડના ખર્ચમાં માત્ર એરક્રાફ્ટનુ ભાડુ, ફ્યુલ અને ક્રુ મેમ્બર્સના બિલનો જ સમાવેશ થતો હોય છે.

