આજે સાંજે રાજ્યમાં લોકસભા ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થઇ જશે. ત્યારે આજે પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે છે જ્યારે અન્ય પક્ષોનાં સ્ટાર પ્રચારકાનાં પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ ધામા છે. ત્યારે થોડા દિવસોથી ચૂંટણી પ્રચારને કારણે જાણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગઇકાલે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ચૂંટણી સભા યોજી રહેલા હાર્દિક પટેલની સભામાં મારામારી સર્જાઇ હતીઅને બે જૂથ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી. થોડા દિવસ પહેલા તેને સભાનાં મંચ પર જ ચાલુ ભાષણ દરમિયાન એક અજાણી વ્યક્તિએ લાફો મારી દીધો હતો. આજે હાર્દિક જામનગરનાં ગામડાઓમાં રોડ શો કરવાનો છે ત્યારે તેણે જામનગરનાં સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસને પત્ર લખીને પોલીસ સુરક્ષા માંગી છે.
હાર્દિક પટેલે જામનગરનાં સુપ્રીટેન્ડેન્ટને લખેલા પત્રમાં હાર્દિકે જણાવ્યું છે કે આજે સવારે નવ કલાકે હું જામનગર ગ્રામ્યમાં રોડ શો યોજવાનો છું. આ સંદર્ભે જણાવું છું કે મારા અંગત સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે જાહેર સભા દરમિયાન મારી ઉપર કે મારી કાર ઉપર અસામાજિક તત્વો દ્રારા જીવલેણ હુમલો થવાનો પ્રયત્ન થઇ શકે છે. જેથી મને પૂરતી સુરક્ષા આપે તેવી વિનંતી છે.
ગઇકાલે અમદાવાદનાં નિકોલની જાહેર સભામાં હોબાળો થતાં હાર્દિકના સમર્થકો અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હતી. જેમાં હાર્દિકના સમર્થકોએ અલ્પેશના સમર્થકોને ખુરશી-ખુરશીએ માર્યા હતા. જોકે પોલીસ સભામાં હોવા છતાં પરિસ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.અંતે પોલીસે 6 લોકોની અટકાયત કરી છે. હાર્દિક પટેલે ગઇકાલે પણ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી વધુ સુરક્ષાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું રાત્રે નિકોલમાં સભા સંબોધવાનો છું જે સભામાં મારા પર અસમાજિક તત્વો દ્વારા હુમલો થઈ શકે છે. આ સંદર્ભે પોલીસ વધુ બંદોબસ્ત ગોઠવી આપશો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પર થયેલા થપ્પડકાંડ પછી સરકારી સુરક્ષા લેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સિક્યોરિટી હું નહીં સ્વીકારું, કારણ કે ગુજરાત સરકારની સિક્યોરિટી જાસુસી કરાવે છે. કોંગ્રેસનો સભ્ય છું, કોંગ્રેસ માટે પ્રચાર કરું જે ક્યાંકને ક્યાંક ભાજપને ખટકે છે. હું ગરીબોની વાત કરું છું તેનાથી ભાજપ ચિંતામાં છે. અગાઉ પણ મને ભાજપના માણસો દ્વારા ધમકી અને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારા જેવા નેતાઓ સુરક્ષીત નથી તો સામાન્યની જનતાનું શું.

