જૂનાગઢમાં મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલ પત્રકારો પર થયેલ લાઠીચાર્જના મામલે એક સબ ઈન્સપેક્ટર અને 3 કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે આ ઘટના એવા સમયે બની જ્યારે જૂનાગઢના સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી હતી. આ મામલે ગુજરાત ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તેમણે ઈન્ક્વાયરી માટે આદેશ આપ્યો છે અને આ તાપસ જૂનાગઢના એસપીની આગેવાનીમાં થશે.
એક ટીવી ચેનલે ઓન એર કરેલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિવિલ યૂનિફોર્મ સહિતના પોલીસ કર્મચરીઓ કેમેરામેનને ધક્કો મારી રહ્યા હતા અને પત્રકારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એક પોલીસકર્મચારીએ કેમેરામેનને ઝાપટ મારી હોવાનાં દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જૂનાગઢ એસપી સૌરભ સિંહે સોમવારે સાંજે જણાવ્યું કે તેમણે સબ ઈન્સપેક્ટર જેપી ગોસાઈ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દીધા છે. જેપી ગોસાઈએ જ એક પત્રકારને ઝાપટ મારી હતી. જ્યારે ત્રણેય કોન્સ્ટેબલે લાઠીચાર્જ કર્યો હતો.
જણાવી દઈએ કે અગાઉ દાદાગીરી કરનાર પોલીસ અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સૌરાષ્ટ્રના પત્રકારોએ એસપી સૌરભ સિંહની ઑફિસ સામે હડતાળ કરી હતી. માત્ર સૌરાષ્ટ્ર જ નહિ બલકે અમદાવાદ સહિતના ગુજરાતના અન્ય શહેરોમાં પણ પત્રકારોએ આંદોલન છેડ્યું હતું. વસ્ત્રાપુર લેક ખાતે કલેક્ટર વિક્રમ પાંડેને મેમોરેન્ડમ પણ સોંપવામાં આવ્યો હતો.

