કાશ્મીર મામલે બરાબરની ધોબી પછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. દુનિયાના તમામ શક્તિશાળી દેશો અને ખુદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કારમા પરાજય બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. દેશના નામે સંબોધનમાં ઈમરાના ખાને ભારતને ધમકી આપવા જતા બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. જેનાથી પાકિસ્તાને એ સ્વિકાર કર્યો હતો કે ભારતે બાલાકોટમાં સૈન્ય કાર્યવાહી કરી હતી. જેથી પાકિસ્તાનની વધુ એક ફજેતી કરાવી હતી.
ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે, મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો પાકિસ્તાન પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું કે બે પરમાણુ વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે.
આ અગાઉ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતે અમને દેવાળીયા કરવાની કોશિશ કરી છે. આ સાથે જ ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીર રાગ પણ આલાપ્યો છે.
ઈમરાન ખાને કહ્યું હતું કે, કાશ્મીર પર હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કાશ્મીર પર ભારત સાથે વાત કરી તો આતંકવાદનો આરોપ લગાવી દીધો. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતે મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અમારા પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવી તક શોધતું રહે છે.
ઈમરાન ખાને જ કર્યું ભોપાળુ
તો અત્યાર સુધી બાલાકોટમાં ભારતીય વાયુસેના પ્રવેશી જ ના હોવાનું ગાણું ગાઈ રહેલા ઈમરાન ખાને આજે અચાનક કહ્યું હતું કે, ભારત હવે બાલાકોટની જેમ જ પીઓકેમાં પણ કોઈ કાર્યવાહી કરી શકે છે. કાશ્મીર મામલે બરાબરના ફસાયેલા આરએસએસ પર પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે, આપણે આરએસએસની વિચારધારાને સમજવી જોઈએ. તે નફરતમાં જ પેદા થયેલા લોકોનો સમુહ છે, જે હિંદુઓને જ શ્રેષ્ઠ માને છે.

