હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવાધને નવરાત્રી માટેની તડામાર તૈયારીઓ કરી લીધી છે. પણ ત્યાં જ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેને પગલે ખેલૈયા અને ગરબા આયોજકોમાં થોડો ખચકાટ જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહીને કારણે ગરબા આયોજકો પણ મુંઝવણમાં મુકાયા છે. તો આ વખતે નવરાત્રી વરસાદ વિધ્ન બનશે તેવી જાણ થતાં ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. તો નવરાત્રીનું ટેન્શન તો લોકોને છે જ, સાથે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વખતે સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે પણ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસ્યો હતો. ત્યારે નવરાત્રીમાં પણ વરસાદ મજા ન બગાડે તે માટે યુવાધન મેઘરાજાને પ્રાથના કરી રહ્યું છે.

