પ્રખ્યાત ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગુનું આજે સાંજે પુણે ખાતેના તેમના નિવાસસ્થાને વૃદ્ધાવસ્થાને લીધે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. છ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે 40થી વધુ ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોમાં કામ કર્યું હતું. તેમણે અભિનય કર્યો હોય તેવી ફિલ્મોની સંખ્યા 100થી વધુ થાય છે. નટસમ્રાટે પુણેમાં છેલ્લા શ્વાસ લીધા : ગુરૂવારે અંતિમ સંસ્કાર થશે : ઇએનટી સર્જન હતા તેમનો પાર્થિવ દેહ બુધવાર 18 ડિસેમ્બરના અંતિમ દર્શનાર્થે દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં રાખવામાં આવશે. ગુરૂવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે જ તેમણે નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1950માં તેમણે ઈએનટી ડૉક્ટર તરીકે પુણેમાં પાંચ વર્ષ કામ કર્યું. ત્યારબાદ કેનેડા અને ઈંગ્લેન્ડમાં પણ ભણતર મેળવ્યું હતું. 1969માં તેમણે ફૂલટાઈમ નાટય અભિનેતા તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ તેમણે ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં કામ કરી પ્રતિષ્ઠિત એવોર્ડ માન-અકરામ મેળવ્યા હતા. મૂળ તેઓ ઇએનટી સર્જન હતા. તેમણે ફિલ્મફેર એવોર્ડ, કાલિદાસ સન્માન, દિનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાનનો જીવનગૌરવ એવોર્ડ સહિત મહત્વના એવોર્ડ મેળવ્યા હતા.

