દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ સામે શીખોનું પ્રદર્શન, SGPC તપાસ માટે ટીમ પાક. મોકલશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર શુક્રવારે ભીડ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં શનિવારે શીખ સમુદાયે પાક.ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (DSGMC) અને અકાલી દળે આ હુમલામાં સામેલ લોકોની ધરપકડની માંગ કરી છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં શીખ સમુદાયે ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તા પર લોકોને લંગર જમાડ્યું હતું. આ મુદ્દે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)એ આ ઘટનાની તપાસ માટે 4 સભ્યોની ટીમ પાકિસ્તાન મોકલવાની વાત કહી. બીજી તરફ પાકિસ્તાનમાં ખાલિસ્તાન સમર્થક ગોપાલસિંહ ચાવલાની આગેવાનીમાં મુસ્લિમ ધર્મગરૂઓ નનકાના સાહિબમાં શીખ સમુદાયને મળ્યા હતા.

અકાલી દળના પ્રવક્તા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું- અમે ગુરૂઘર અને શીખ સમુદાય પર થયેલા આ હુમલાને બર્દાશ્ત નહીં કરીએ. આ ઘટનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર છે જેને અલ્પસંખ્યકોના જીવન અને ઇજ્જતની કોઇ પરવાહ નથી. નનકાના સાહિબ પર થયેલા હુમલાના વીડિયોમાં મોહમ્મદ હસન સરાજાહેર કહી રહ્યો છે કે તે ગુરુદ્વારા સાહિબની જગ્યાએ મસ્જિદ બનાવશે અને અહીંથી દરેક શીખોને ભગાડી દેવામાં આવશે. આ કોઇ કિંમતે સહન નહીં કરવામાં આવે. આટલી મોટી ઘટના બાદ પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મૌન સેવ્યું છે. તેનાથી ખબર પડે છે કે તે અલ્પસંખ્યકો પ્રત્યે કેટલા ગંભીર છે.

મંત્રીએ કહ્યું- CAA વિરોધીઓની આંખો ખૂલવી જોઇએ
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે નનકાના સાહિબની ઘટના બાદ સીએએનો વિરોધ કરનારાઓની આંખો ખુલી જવી જોઇએ. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

SGPCએ તપાસ ટીમ મોકલવાની વાત કહી
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને તેની તપાસ માટે એક પ્રતિનિધિમંડળ પાકિસ્તાન મોકલવાની વાત કહી. એસજીપીસીએ કહ્યું કે તેઓ સરકાર સાથે વાત કરીને પાકિસ્તાનમાં શીખ સમુદાયની સુરક્ષા સુનિશ્વિત કરવાનો આગ્રહ કરશે.

મુસ્લિમ યુવકે ગ્રંથીની દીકરીનું અપહરણ કર્યું
નનકાના સાહિબ ગુરુદ્વારાના ગ્રંથીની દીકરી જગજીતનું મોહમ્મદ હસન નામના એક મુસ્લિમ યુવકે 5 નવેમ્બરે અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ કર્યા હતા. તેના વિરોધમાં તેના પિતાએ કરતારપુરમાં ધરણા દેવાની પણ ચેતવણી આપી હતી. ત્યારબાદ પોલીસે યુવતીને પાછી તેના પિતા પાસે મોકલી આપી હતી.

કટ્ટરવાદીઓએ ગુરુદ્વારા પર હુમલો કર્યો
ત્યારબાદ આ યુવકે ફરી આ યુવતીનું અપહરણ કરી લીધું હતું. તેના વિરોધમાં શીખોએ પ્રદર્શન કર્યું જેને સ્થાનિક મુસલમાનોએ સમુદાય વિરુદ્ધ માની લીધું. તેના કારણે ગુરુદ્વારા સાહિબ પર પથરાવ કરવામાં આવ્યો . પંજાબ પ્રાંતના એખ મંત્રીએ ફોન કરીને પોલીસને ઘટનાસ્થળેથી શીખોને બહાર લાવવા કહ્યું ત્યારે પોલીસ ત્યાં પહોંચી.