કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૨મી માર્ચ-દાંડીયાત્રાના દિવસે અમદાવાદ નજીકના અડાલજના ત્રિમંદિર ખાતેથી જનસંકલ્પ રેલી દ્વારા સત્તાવાર રીતે મોદી સરકાર સામે લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે. કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ હાજર રહેવાના હોવાથી આ સભા ઐતિહાસિક બની રહેશે. કોંગ્રેસ માટે મંગળવારનો દિવસ બીજી રીતે પણ યાદગાર બની રહેશે, કારણ કે ૫૮ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસની કાર્યકારીણી યોજાઈ રહી છે. કાર્યકારીણીમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નીતિઓ ઉપરાંત દેશના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ, કોંગ્રેસની ભાવિ યોજના અને નીતિઓ અંગેના ઠરાવ કરવામાં આવશે. બીજીતરફ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે આપેલાં વચનોમાં મુખ્યત્વે ખેડૂતોની દેવામાફી, યુવાનોને બે કરોડ રોજગારી, મોંઘવારી-ભ્રષ્ટાચાર નાબુદ કરવા ઉપરાંત આતંકવાદને નાથવામાં મોદી સરકારની ઘોર નિષ્ફળતા જેવા મુદ્દા ઉઠાવીને પાંચ વર્ષમાં મોદી સરકારની કામગીરીના લેખાંજોખાં સાથે હિસાબ માગીને ભાજપ વિરુદ્ધનો પ્રચાર જંગ છેડશે. કોંગ્રેસ કાર્યકારીણી અને સભામાં ભાગ લેવા માટે દેશભરના ટોચના નેતાઓનું આગમન સોમવારે બપોર પછી અમદાવાદમાં શરૂ થઈ ગયું છે.

