સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ક્યાંકને ક્યાંક દિલ્હીના નિઝામુદ્દીન ખાતે થયેલા તબલીગી જમાતના કાર્યક્રમને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે, કારણ કે મરકઝમાં થયેલા કાર્યક્રમમાં ભાગ લીધા પછી જમાતી દેશના અલગ-અલગ ભાગોમાં ગયા અને ત્યાં કોરોના વાયરસનો ચેપ ફેલાવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર આ મુદ્દે સતર્ક રહી કાર્યરત છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર તમામ રીતે પ્રતિબંધ મુકવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે. અરજીકર્તાએ આ સંદર્ભે કેન્દ્ર અને દિલ્હી સરકારને નિર્દેશ આપવા અપીલ કરી છે. કોરોના મહામારી વચ્ચે ગત મહિને જમાતના કાર્યક્રમમાં 9 હજારથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જે પછી દેશમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થવા લાગ્યો હતો.

અરજીમાં માંગ કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. ધાર્મિક કાર્યક્રમની આડમાં સમગ્ર ભારતમાં કોરોના વાયરસ ફેલાવાના કાવતરાની સઘન તપાસ કરવામાં આવે. આ પિટીશન દિલ્હીના અજય ગૌતમ નામક વ્યક્તિએ કરી છે. અરજીમાં દિલ્હી સરકારને નિઝામુદ્દીનમાં જમાતની બિલ્ડીંગને તોડી પાડવાની માંગ પણ કરવામાં આવી છે. અરજીકર્તાએ ચીફ જસ્ટિસ એસ એ બોબડેને અપીલ કરી હતી કે તેમની લેટર પિટીશનને રિટ પિટીશન તરીકે ગણવામાં આવે.

અરજીમાં સરકારના આદેશનું યોગ્ય રીતે પાલન ન કરાવી શકનાર પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

જોકે આ પહેલા 6 એપ્રિલે જમીયત ઉલેમા એ હિન્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે મીડિયા તબલીગી જમાતના મરકઝને લઇને અફવાઓ ફેલાવી ટાર્ગેટ કરી રહ્યુ છે. સંસ્થાએ કોર્ટને ફેક ન્યૂઝ રોકવા અને ફેલાવા પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંસ્થાએ અરજીમાં કહ્યુ હતું કે તબલીગી જમાત કાર્યક્રમને આધારે સમગ્ર મુસ્લિમ સમાજને આરોપી દર્શાવવામાં આવી રહ્યો છે. સંસ્થાએ આને બંધારણના આર્ટીકલ 21 હેઠળ જીવન અધિકારનું ઉલ્લંઘન દર્શાવ્યુ હતું.

વિશ્વ હિન્દુ પરિષદે બે દિવસ પહેલા કહ્યુ હતું કે, જમાત અને તેના નિઝામુદ્દીન મરકઝની દેશવ્યાપી કરતૂતોની લીધે આજે દેશમાં ગંભીર સ્થતિ ઉભી થઇ છે. વિહિપે પણ મરકઝ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. સરકારે દેશભરમાંથી તબલીગી જમાતી અને તેમના સંપર્કમાં આવેલા 25500 લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે.