ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રસપ્રદ અને રોમાંચક રહે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓને આપવામાં આવતા સમર્થનને કારણે ભારતે પાકિસ્તાન સાથે રમવાનું ટાળ્યું છે. પરંતુ વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે.
ભારત-પાકિસ્તાનના બહુચર્ચિત મુકાબલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના સીઈઓ ડેવ રિચર્ડસનને કોઈ ભય નથી દેખાઈ રહ્યો. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમે નહીં તેવી માગણી થઈ રહી છે. આ મુદ્દે પ્રજામાં પણ આક્રોશ છે.
ડેવ રિચર્ડસને આ અંગે જણાવ્યું હતું કે ‘આઈસીસી ટૂર્નામેન્ટ માટે દરેક ટીમે ખેલાડીઓએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અનુસાર દરેક ટીમે ટૂર્નામેન્ટની દરેક મેચ રમવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો રમતની શરતો અનુસાર બીજી ટીમને પોઈન્ટ મળી જશે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને માંચેસ્ટરમાં મેચ રમાનારી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલી સંચાલન સમિતિ (CoA)એ પણ આઈસીસીને પત્ર લખીને પાકિસ્તાન સાથે મેચ નહીં રમવા માટે માગણી કરી હતી અને એમ પણ જણાવ્યું હતું કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોનો વર્લ્ડ કપમાંથી બહિષ્કાર થવો જોઈએ.

