કોંગ્રેસે હિંદુઓને આતંકવાદી તરીકે બદનામ કર્યા: અમિત શાહ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે ઓરિસ્સામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ હિંદુઓ પર આંતકવાદી હોવાનો કથિત ટેગ લગાવીને એમને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. ઓડિશાના બરહમપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગતના પારાલાખેમુંડીમાં રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબાની પાર્ટીએ હિંદુ સમુદાયને આતંકવાદ સાથે જોડવાની કોશિશ કરી. આ વિશ્વભરના હિંદુઓનું અપમાન છે.

બરહમપુર બેઠક પર 11 એપ્રિલે મતદાન થશે. આ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલાં અમિત શાહે કોંગ્રેસ પર નિશાન તાકીને કહ્યું કે, સમજૌતા એક્સપ્રેસ ધમાકાના મામલામાં સ્વામી અસીમાનંદ સહિત કેટલાય અન્ય આરોપી નિર્દોષ છૂટ્યા છે. તેમણે ઉમેર્યું કે, દુર્ભાગ્યવશ, તત્કાલીન કોંગ્રેસ સરકારે આ મામલામાં મૂળ દોષિતોને ખુલ્લા છોડીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કર્યું હતું. આ લોકોને રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ ચિંતા નથી.

આ દરમિયાન અમિત શાહે લોકોને અપીલ કરી કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન સુનિશ્ચિત કરવા માટે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારને સત્તામાંથી ઉખેડી ફેંકો. કેમ કે રાજ્યમાં બીજેડી સરકાર ભ્રષ્ટાચારમાં મશગૂલ છે અને હવે ઝડપી વિકાસ માટે રાજ્યને યુવા મુખ્યમંત્રીની જરુરત છે. બીજેડી સરકારે પશ્ચિમ અને મધ્ય ઓરિસ્સાને લઈને ભેદભાવભર્યો વ્યવહાર રાખ્યો છે. જેના કારણે આ વિસ્તાર પછાત રહી ગયો છે. આ સાથે વડાપ્રધાન મોદીને ફરી એક વખત તક આપવા અમિત શાહે લોકોને વિનંતી કરી છે.