વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બેંકો સાથે રૂપિયા 2654 કરોડનું કૌભાંડ કરવાના આરોપી અમિત ભટ્ટનાગરને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. પોતાના દીકરાના વિદેશ અભ્યાસઅર્થે જવાનું હોવાથી અમિત ભટ્ટનાગરે જામીન માંગ્યા હોવાથી સીબીઆઈ કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યા છે.
અમિત ભટ્ટનાગર અને તેમના ભાઈ સુમિત ભટ્ટનાગર તેમજ પિતા સુરેશ ભટ્ટનાગર પર વડોદરાની 11 જેટલી બેંકોની રૂપિયા 2654 કરોડની લોન ન ચુકવી શકવાનો આરોપ છે. દેશમાં થયેલા વિવિધ બેંક કૌભાંડો વખત હરકતમાં આવેલી સીબીઆઈ, ઈડી અને આયકર વિભાગે ભટ્ટનાગર બંધુ અને તેમના પિતા વિરુદ્ધ જુદા જુદા ગુના દાખલ કરીને અને તપાસ કરી હતી.
વડોદરાના ડાયમંડ પારવ ગ્રુપના માલિકો પર ગત દેશની વિવિધ એજન્સીઓએ દરોડા પાડી અને તપાસ હાથ ધરી હતી. એજન્સીઓએ તેમના નિવાસસ્થાને અને ફેક્ટરીઓ પર દરોડા પાડી અને તેમની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એક તબક્કે ફરાર થઈ ગયેલા ભટ્ટનાગર બંધુઓ નામ બદલીને ઉદેપુરની હોટલમાં રોકાયા હતા ત્યારે જ તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ અમિત ભટ્ટનાગરને ઇન્કમટેક્સ ભરવા તેમજ પુત્રીના વિદેશ અભ્યાસઅર્થે જામીન મળ્યા હતા ત્યારે આ વખતે તેમને પુત્રના વિદેશ અભ્યાસ માટે 10 દિવસના જામીન સીબીઆઈ કોર્ટે મંજૂર કર્યા છે.

