મોદીનો આજે રોડ શો, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે, નીતિશ-ઉદ્ધવ સહિતના નેતાઓ હાજર રહેશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે વારાણસીમાં રોડ શો કરશે. તેમનો રોડ શો બીએચયુમાં આવેલી માલવીય પ્રતિમાથી બપોર પછી શરૂ થશે અને અંદાજે 7 કિમીનું અંતર કાપીને દશાશ્વમેઘ ઘાટ પર પુરો થશે. તેઓ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થશે. શુક્રવારે તેઓ કાળ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને તેમનું ઉમેદવારી પત્રક ભરશે. સમગ્ર રોડ શો દરમિયાન 25 ક્વિન્ટલ ગુલાબ અને અન્ય ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવશે.

ઉમેદવારી પત્રક અને રોડ શોની તૈયારીઓ કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલાં જ વારાણસી પહોંચી ગયા છે. મોદી આ 20મી વખત વારાણસીની મુલાકાત કરી રહ્યા છે. તેમના રોડ શોમાં વધુમાં વધુ ભીડ ભેગી કરવાની જવાબદારી પદાધિકારીઓને સોંપવામાં આવી છે. રોડ શોના પ્રભારી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ એક ઐતિહાસિક રોડ શો હશે. જેમાં 6થી 7 લાખ લોકો સામેલ થશે.

વિધાનસભા ચૂંટણીમાં પણ અહીંથી જ શરૂ કર્યો હતો રોડ શો : ઉત્તરપ્રદેશમાં 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ અહીંથી જ રોડ શો શરૂ કર્યો હતો. આજના રોડ શોમાં ઘણી જગ્યાએ મોદીના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. વારાણસીમાં રહેતા અલગ અલગ રાજ્યોના લોકો પારંપરિક રીતે મોદીનું અભિવાદન કરશે. ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું કે, કેરળથી લઈને ગુજરાતી સમાજના લોકો પણ અહીં મોદીનું સ્વાગત કરવાના છે. આવી સાત જગ્યાઓ નક્કી કરવામાં આવી છે જ્યાં મોદીનું સ્વાગત કરવામાં આવશે.

યોગી-રાજનાથ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે: યુપીના સીએમ યોગી આદિત્યનાથથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ આજે રોડ શોમાં હાજર રહેશે. ગંગા આરતી પછી મોદી શહેરના પ્રતિષ્ઠિત લોકો સાથે ડિનર કરશે. આ દરમિયાન મંત્રીમંડળના પણ ઘણાં સહયોગીઓ મોદીની સાથે રહેશે. તેમાં પંજાબના અકાળી દળના નેતા સુખબીર સિંહ બાદલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સુષ્મા સ્વરાજ, પિયુષ ગોયલ પણ હાજર રહેશે. આ ઉપરાંત એઆઈડીએમકેના નેતા, આસામ ગણપરિષદના નેતાઓ સિવાય અપના દળમાંથી અનુપ્રિયા પટેલ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થશે.