અમદાવાદના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા 16 ઓક્ટોબરથી કેમ્પનું આયોજન

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવનજરૂરિયાતની સાધનસામગ્રી પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કર્યું છે. જરૂરતમંદ દિવ્યાંગોને તારીખ 16થી 22 ઓક્ટોબર સુધી સાધનો આપવા કેમ્પનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત 60થી વધુ વર્ષના બીપીએલ લાભાર્થીઓને પણ સહાયનો લાભ મળશે. જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, શહેરના જરૂરિયાતમંદ દિવ્યાંગોને જીવન-સહાયક સાધનો આપવા માટે ચકાસણી કેમ્પનું આયોજન તારીખ 16થી 22 ઓક્ટોબર સુધી 9:00 વાગ્યાથી સોલા સિવિલમાં તથા ગ્રામ્ય વિસ્તારના દિવ્યાંગો માટે સાણંદ સી.એચ.સી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 20 હજારથી વધુ દિવ્યાંગોનો સાધનો પૂરા પાડવામાં આવશે.

બીપીએલ કાર્ડધારકોને પણ લાભ મળશે
અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર અને ‘એલીમ્કો’ (artificial limbs manufacturing corporation of India) ના સહયોગથી અમદાવાદ જિલ્લામાં વસતા દિવ્યાંગોને ટ્રાઇસિકલ, મોબાઇલ, ચશ્મા સહિતની જરૂરી જીવન-સહાયક સાધનો એક જ સ્થળેથી મળે તેના આયોજન કરવામાં આવ્યું છે. ‘એલીમ્કો’ના અધિકારી રાજેશ દુબે, નિવાસી અધિક કલેક્ટર હર્ષદ વોરા તેમજ અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી સહિતના પદાધિકારિઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દિવ્યાંગોની સાથે રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ વયના બી.પી.એલ. લાભાર્થીઓને પણ આવરી લઇ તેમને પણ જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે તેમ જણાવાયું હતું. દિવ્યાંગોને સાધન સહાયનો વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકા અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. આ કેમ્પનો વધુને વધુ દિવ્યાંગજનો લાભ લઈ પોતાની જરૂરીયાત પ્રમાણેના સાધનો મેળવવા ચકાસણી કરાવવા જિલ્લા કલેક્ટરે ખાસ અપીલ કરી છે.