પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય ગણીત પર પણ તેની અસર થઇ શકે છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલ જે પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં સર્જાઇ છે તેનાથી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્નેને ફાયદો થઇ શકે છે. સીબીઆઇ જ્યારે પશ્ચિમ બંગાળમાં કોલકાતાના પોલીસ કમિશનરને ત્યાં દરોડા પાડવા ગઇ તો મમતા બેનરજી તેમની ઢાલ બની ગયા હતા અને ધરણા પર બેસી ગયા છે જેને પગલે રાજ્યના રાજકીય સમિકરણો પણ બદલાઇ ગયા છે. હાલ પશ્ચિમ બંગાળમા હવે પરિસ્થિતિ ભાજપ સામે તૃણમુલ કોંગ્રેસ તેવી થઇ ગઇ છે. મમતાના નિશાના પર અત્યાર સુધી લેફ્ટ પાર્ટી હતી, જોકે હવે લેફ્ટ અને કોંગ્રેસની જગ્યાએ ભાજપ આવી ગઇ છે અને તેની સામે મમતાએ મોરચો માંડયો છે. ભાજપ શરૃઆતથી જ મમતાને મુસ્લિમ સમર્થક હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જેનો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થયો હતો. અને ગત લોકસભાની ચૂંટણી બાદ પણ ભાજપનો વોટશેર પશ્ચીમ બંગાળમાં વધ્યો હતો.

