શ્રીલંકામાં ગત મહિને થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ સરકાર સુરક્ષા મજબૂત કરવાના સતત પગલાંઓ ઉઠાવી રહી છે. સરકારે નવા આદેશમાં કહ્યું કે, દેશમાં મોજૂદ તમામ મસ્જિદોમાં જે ઉપદેશ સંભળાવવામાં આવે છે, તેની એક કોપી જમા કરાવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ISના હુમલાની જવાબદારી લીધા બાદથી જ શ્રીલંકામાં ઇસ્લામી કટ્ટરપંથ ખતમ કરવા માટે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. શ્રીલંકાના ધર્મ અને સાંસ્કૃતિ મામલાના મંત્રાલયે કહ્યું કે, મસ્જિદોનો ઉપયોગ કટ્ટરપંથી વિચાર ફેલાવવા માટે ના હોવી જોઇએ. એવામાં દેશની સ્થિતિને જોતાં તમામ મસ્જિદોમાં ટ્રસ્ટીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ મસ્જિદને કટ્ટરપંથી ગતિવિધિ અથવા નફરત ફેલાવવાનું કેન્દ્ર ના બનવા દે.
ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લાગ્યા
આ અગાઉ શ્રીલંકામાં મહિલાઓના ચહેરા ઢાંકવા ઉપર પણ પ્રતિબંધ લાગી ચૂક્યા છે. પ્રેસિડન્ટ મૈત્રીપાલા સિરિસેનાએ 29 એપ્રિલના રોજ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરી ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રેસિડન્ટ કાર્યાલયના નિવેદન અનુસાર, પ્રતિબંધનો ઉદ્દેશ્ય દેશની સુરક્ષા સાથે છે. વ્યક્તિનો ચહેરો ઢાંકવાથી તેની ઓળખમાં મુશ્કેલ થાય છે.
ઉગ્રવાદીઓને ખતમ કરવા અભિયાન ચલાવ્યું
શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદથી જ અંદાજિત 10 હજાર સૈનિક આતંકી ઠેકાણાઓમાં દરોડા પાડી રહ્યા હતા. શ્રીલંકાની પોલીસ અને સૈન્યએ કહ્યું હતું કે, હવે આખો દેશ સંપુર્ણ રીતે સુરક્ષિત છે. ઇસ્ટર સન્ડે પર થયેલા સીરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકીની ધરપકડ થઇ છે અથવા તેઓના મોત થયા છે. પોલીસ પ્રવક્તા રુઆન ગુણસેકરાએ જણાવ્યું કે, આખા દેશમાં 73 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 9 મહિલાઓ પણ સામેલ છે. આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ (IS) નેશનલ તૌહિથ જમાત (NTJ)ને માનવામાં આવે છે. 21 એપ્રિલના રોજ આતંકીઓએ ત્રણ ચર્ચ, હોટલ અને બે સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં 250 લોકોનાં મોત થયા હતા.

