ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલશે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સુરતના અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે આયોજિત સમારોહમાં ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, પર્યાવરણના રક્ષણ માટે આપણે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવતી પ્રાચીન નૈસર્ગિક ખેતીને અનિવાર્યપણે અપનાવવી પડશે. ઓર્ગેનિક ખેતીમાં સમાજ અને કુદરતના જતન અને સંવર્ધનની સંકલ્પના સમાયેલી છે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય”, ‘જીવો અને જીવવા દો’ ની ભાવનાથી આપણી ભારતીય સંસ્કૃતિ માત્ર વ્યક્તિ માટે નહિ, પણ સર્વ જીવ અને સમષ્ટિના હિતને વરેલી છે.
ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી ‘હેલ્ધી સોસાયટી’ના લક્ષ્યને સાધવા નૈસર્ગિક ખેતી જ ઉપયોગી બની રહેવાની છે, ત્યારે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે એમ તેમણે કહ્યું હતું. લોકોના રસોડામાં રસાયણમુકત ખોરાકની પ્રાપ્તિ અને અનેક રોગોમાંથી મુક્તિ સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ તેમજ વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુક્તિ આપી ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના શુભ આશય સાથે સુરત ખાતેથી ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમા સમગ્ર રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની દિશામાં નવી જાગૃત્તિ આવશે એમાં કોઈ બેમત નથી એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.