ઉત્તરપ્રદેશના ઈટાવામાં સોમવારે સવારે રાજધાની એક્સપ્રેસમાં આવી જતા ચાર મુસાફરોના મોત થયા છે. આ ઘટના બલરાઈ સ્ટેશન પર ઘટી હતી. જેમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચારેય મૃતક કૌશંબીના રહેવાસી હતા અને સુરત જઈ રહ્યાં હતા. ટ્રેન થોભતા તેઓ ગરમીના કારણે રેલવે ટ્રેક પર બેઠા હતા
રેલવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુઝફ્ફરપુરથી બાંદ્રા(મુંબઈ) જઈ રહેલી અવધ એક્સપ્રેસ અંદાજે 6 વાગે બલરાઈ સ્ટેશન પહોંચી હતી. આ દરમિયાન કાનપુર તરફથી આવી રહેલી દિલ્હી તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસને પાસ કરાવવા માટે ટ્રેનને લૂપ લાઈન પર જ રોકવામાં આવી હતી. અવધ એક્સપ્રેસના મુસાફરો ગરમીથી બચવા માટે રેલવે ટ્રેક પર છાંયામાં બેઠા હતા. ત્યારે રાજધાની એક્સપ્રેસ પસાર થઈ અને ઘણા મુસાફરો તેની હડફેટમાં આવી ગયા.
માર્યા ગયેલા તમામ લોકો કાનપુરથી ટ્રેનમાં બેઠા હતાઃ દુર્ઘટનામાં કૌશંબી જિલ્લાના જુગરાજપુર ગામ નિવાસી જીતૂ(20 વર્ષ), પિંટૂ(21 વર્ષ), સુરેન્દ્ર કુમાર (21 વર્ષ ), લાલચંદ્ર (20 વર્ષ)નું મોત થયું હતું. આ તમામ કાનપુરથી ટ્રેનમાં બેઠા હતા ઘટના બાદ રાજધાની એક્સપ્રેસ હોમ સિગ્નલ પર અંદાજે 10 મિનીટ સુધી ઊભી રહી હતી.

