ઝિમ્બાબ્વે સરકાર સાથે ઘર્ષણ થતા ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરાયું

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઝિમ્બાબ્વની સરકારી એજન્સીએ એક આશ્ચર્યજનક નિર્ણય હેઠળ ઝિમ્બાબ્વે ક્રિકેટ (સ્થાનિક ક્રિકેટ બોર્ડ)ને જ સસ્પેન્ડ કરી દીધું છે. સરકારી સંસ્થા સ્પોર્ટ્સ એન્ડ રિક્રીએશન કમિશન (એસઆરસી) દ્વારા તાત્કાલિક અસરથી ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ઝિમ્બાબ્વે ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર ગીવમોર માકોનીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સરકારી સંસ્થા એસઆરસીએ એક સપ્તાહ અગાઉ ઝિમ્બાબ્વે ક્રિકેટમાં સભ્યોની ઉમેદવારી પ્રક્રિયા અને બોર્ડ દ્વારા બંધારણનું ઉલ્લંઘન તેમજ અન્ય વિવાદોને પગલે નોટિસ પાઠવી બોર્ડની ચૂંટણી રદ કરવા નિર્દેશો આપ્યા હતા. જો કે તેમ છતા બોર્ડે તેની અવગણા કરી અને મુકુહલાનીને ફરીથી ચાર વર્ષ માટે બોર્ડના ચેરમેન પદે ચૂંટ્યા હતા.

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ અંગે સંખ્યાબંધ વિવાદો અને બંધારણના ઉલ્લંઘનની ફરિયાદો એસઆરસીને મળી હતી. ત્યારબાદ સરકારી સંસ્થાએ આકરું વલણ અપનાવતા ક્રિકેટ બોર્ડને જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

આ મામલે એસઆરસીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, ‘દેશનું ક્રિકેટ બોર્ડ અને તેના સભ્યો પોતાને કાયદાની સમક્ષક સમજે અને તે મુજ વર્તે તે રાષ્ટ્રહિતમાં નથી. ભૂતકાળમાં તેમજ વર્તમાનમાં બોર્ડના કેટલાક હોદ્દેદારોએ નિયમોનું ઉલ્લંઘન કર્યા છે તેમજ ભ્રષ્ટાચાર અને ગુનાઈત કૃત્ય પણ આચર્યા છે. ઝિમ્બાબ્લે ક્રિકેટ તેમજ આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નાણાં તેમજ અસ્ક્યામતોનો પણ ભરપૂર દુરૂપયોગ કરાયો છે.’

બોર્ડના વિવાદને લીધે ક્રિકેટનો વિકાસ પણ રૂંધાયો હોવાનું જગજાહેર છે તેમ એસઆરસીએ જણાવ્યું હતું. વચગાળાના સમયમાં ક્રિકેટના સંચાલન માટે ડેવિડ એલમેન-બ્રાઉન, અહેમદ ઈબ્રાહીમ, ચાર્લી રોબર્ટસન, સાયપ્રીઅન મનેડેંગે, રોબર્ટસન ચીનયેંગેત્રે, સેકેસાંઈ નોકવારા અને ડંકન ફ્રોસ્ટને કમિટી સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા.