લાહોરની આતંકવાદી વિરોધી કોર્ટે આતંકવાદી હાફિઝ સઈદ અને તેના ત્રણ સાગરિતોના જામીન મંજૂર કરી દીધા છે. એટલે હવે ઓગસ્ટ સુધી હાફિઝની ધરપકડ થઈ શકશે નહીં. પાકિસ્તાને આતંકવાદી હાફિઝ સામે કાર્યવાહીનું જે નાટક કર્યું તે ફરી વખત ખુલ્લું પડી ગયું હતું.
મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને તેના ત્રણ સાગરિતો સામે કાર્યવાહી કરવાનું પાક. પોલીસે નાટક કર્યું હતું. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે હાફિઝ ને તેના ત્રણ સાગરિતોની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવશે. એ પોકળ વાતો વચ્ચે લાહોરની આતંકવાદી વિરોધી કોર્ટે પાક.ના ૫૦ હજાર રૂપિયામાં હાફિઝ સઈદ અને તેના ત્રણેય સાગરિતોના આગોતરા જામીન મંજૂર કરી દીધા હતા.
હાફિઝ અને તેના સાગરિતો સામે આતંકવાદી સંગઠન માટે જમીન કૌભાંડ આચર્યાનો આરોપ લગાવાયો હતો. એક તરફ લાહોરના પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે ગમે ત્યારે હાફિઝ અને તેના સાગરિતોની ધરપકડ થશે. બીજી તરફ આતંકવાદ વિરોધી કોર્ટે જ હાફિઝની ધરપકડ ઉપર સ્ટે મૂકી દીધો હતો. કોર્ટે હાફિઝને ૩જી ઓગસ્ટ સુધી રાહત આપી છે અને આ મુદ્દે ૩૦મી જુલાઈએ ફરીથી સુનાવણી થશે.
દરમિયાન લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનની કેન્દ્ર સરકારને હાફિઝ સઈદ અને તેના સાત સાગરિતો સામે ટેરર ફંડની જે અરજી થઈ છે તેનો ખુલાસો આપવાની નોટિસ પાઠવી છે. પાકિસ્તાનની કેન્દ્ર સરકારે હાફિઝ સહિત આઠ સામે ટેરર ફંડની અરજી દાખલ કરી હતી. તેની સામે હાફિઝ અને તેના સાગરિતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

