હવે ઇંડાની છાલથી તૂટેલાં હાડકાં જોડી શકાશે એેવી વિસ્મયજનક માહિતી મળી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એક મહત્ત્વનું સંશોધન કર્યું હતું.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, હૈદરાબાદ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી, જલંધરના વિજ્ઞાનીઓના સહિયારા પ્રયાસ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. આ માહિતી આપનારા પ્રવક્તાએ કહ્યું કે ઇંડાની છાલમાં 95.1 ટકા કેલ્શિયમ સાથે પ્રોટિન અને પાણી હોય છે. આધુનિક સારવારમાં હાડકું તૂટ્યા બાદ કોઇ દાતાની મદદથી અથવા કૃત્રિમ સામગ્રી દ્વારા તૂટેલા ભાગને સાંધવામાં આવે છે. પ્લાસ્ટર ઑફ પેરિસ અને કેલ્શિયમ સલ્ફેટનો એમાં ઉપયોગ થાય છે.
આ પ્રવક્તાએ કહ્યું કે ઇંડાની છાલ એક કુદરતી સામગ્રી છે જેની મદદથી તૂટેલા હાડકાને ફરી સાજું કરી શકાય છે. ઇંડામાં પ્રોટિન, કેલ્શિયમ અને ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપુર મળે છે. આ વાત કુદરતી ઇંડાને લાગુ પડે છે, કૃત્રિમ રીતે બનાવાયેલા ઇંડાને નહીં એવી સ્પષ્ટતા પણ આ પ્રવક્તાએ કરી હતી.
અત્યાર અગાઉ ભારતીય વિજ્ઞાનીઓએ દાઝવા બળવાની ઇજા પર બટેટાની છાલ દ્વારા પેશન્ટને ખાસ્સી રાહત આપવાના સફળ પ્રયોગો કર્યા હતા.

