ઈ-સિગરેટ પર પ્રતિબંધ, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરાઈ

ગુજરાત મુખ્ય સમાચાર

કેબિનેટની બેઠકમાં બુધવારે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે 11 લાખ 52 હજાર રેલવે કર્મચારીઓને આ વર્ષે 78 દિવસના વેતન બરાબર બોનસ આપવામાં આવશે. તેની પર 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જાવડેકરે કહ્યું કે કર્મચારીઓની ઉત્પાદકતા અને મનોબળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 6 વર્ષથી રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે.

ઈ-સિગરેટ પર પ્રતિબંધનો નિર્ણય યોગ્ય સમય પર લેવામાં આવ્યોઃ સરકાર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે કેબિનેટે ઈ-સિગરેટ પર પ્રતિબંધ લગાવવાને મંજૂરી આપી દીધી છે. તેના ઉત્પાદન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, વેચાણ, વિતરણ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે. સીતારમણે જણાવ્યું કે રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઈ-સિગરેટની 400 બ્રાન્ડ અને 150 ફલેવર છે. તેમાંથી કોઈ પણ ભારતમાં બનતી નથી. સરકારનું કહેવું છે કે યુવાઓ અને બાળકોને ઈ-સિગરેટની લતના ખતરાથી બચાવવા માટે યોગ્ય સમય પર આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં ઈ-સિગરેટનું વેચાણ હાલ ઓછું છે, પરંતુ ધીરે-ધીરે વધી રહી હતી.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઈ-સિગરેટ પર બેનના અધ્યાદેશના ડ્રાફટમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો છે કે પ્રથમ વાર નિયમ તોડનારને 1 વર્ષ સુધીની જેલ થાય અને 1 લાખ રૂપિયાનો દંડ થાય. બીજી વખત ઉલ્લંઘન કરનારને 3 વર્ષ સુધીની જેલ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈ-સિગરેટ શું છે ?

ઈલેકટ્રોનિક સિગરેટ એક બેટરી ડિવાઈસ હોય છે. તેના દ્વારા નિકોટિનના સોલ્યુશનને શ્વાસની સાથે ખેંચવામાં આવે છે. ઈ-સિગરેટને ન્યુયોર્કમાં પણ બેન કરવામાં આવી છે.