ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, 4 નવે.ના રોજ ‘મહા’ વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે, ત્યારબાદ નબળું પડી ગુજરાતના દરિયા કિનારા તરફ આવે તેવી શક્યતા છે. આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. બીજી તરફ દરિયામાં મોજા ઉછળવાની સાથે સાથે 100થી વધુ કિ.મી.ની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સુચન જાહેર કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા 4થી નવે. સુધી નબળું પડશે. જો કે, તેની અસરને કારણે 5થી 7મી નવેમ્બર સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે કે નહીં તેની આગાહી અમે હાલ પૂરતી નથી કરી રહ્યા પરંતુ અમે માછીમારોને ગુજરાતના દરિયામાં દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલમાં વેરાવળથી અંદાજે 540 કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સક્રિય છે. ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દ.ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.”

હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવતાં નબળું પડશે પરંતુ અનેક જિલ્લામાં ભારે વરસાદ થશે. રાજ્યના ભાવનગર, બોટાદ,અમરેલી, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સંઘ પ્રદેશ, દમણ-દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, તાપી ઉપરાંત આણંદ-ખેડા નડિયાદમાં પણ વરસાદ વરસશે.