છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માગી, લખ્યું – અનાદર કરવાનો ઈરાદો ન હતો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

‘કૌન બનેગા કરોડપતિ 11’ના એક સવાલ દરમ્યાન અજાણતા થયેલ છત્રપતિ શિવાજી મહારાજના અપમાન બદલ હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માગી છે. બિગ બીએ ટ્વીટ કર્યું કે, ‘અનાદર કરવાનો કોઈ ઈરાદો ન હતો. કોઈની લાગણીને જો ઠેસ પહોંચી હોય તો માફી ઈચ્છું છું.’ સાથે શોના નિર્માતા સિદ્ધાર્થ બાસુનું ટ્વીટ પણ શેર કર્યું હતું.

સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું કેબીસી 11ના સવાલમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો. આ સીઝનમાં ઘણા એવા સવાલ આવ્યા છે જેમાં દરેકના નામ તેમના આખા સંબોધન સાથે સામેલ કરવામાં આવ્યા છે. અજાણતા થયેલ ભૂલ માટે માફી માગીએ છીએ.

આ છે આખો મામલો 
‘કેબીસી 11’માં 6 નવેમ્બરના એપિસોડમાં એક સવાલના વિકલ્પમાં છત્રપતિ શિવાજી મહારાજના આખા નામને બદલે માત્ર ‘શિવાજી’ લખવામાં આવ્યું હતું. જ્યારે અન્ય વિકલ્પમાં આપેલ રાજાઓના નામ તેમના સંબોધન સાથે આખા લખવામાં આવ્યા હતા. સવાલ હતો, આમાંથી કયા શાષક મુગલ સમ્રાટ ઓરંગઝેબના સમકાલીન હતા? ઓપ્શનમાં મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાણા રંજીત સિંહ અને શિવાજી લખ્યું હતું. તેને કારણે લોકોની ભાવનાને ઠેસ પહોંચી અને ટ્વિટર પર #બોયકોટ કેબીસી સોની ટીવી ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

વિવાદ થયા બાદ સોની ટીવીએ ગુરુવારે ટેલિકાસ્ટ થયેલ એપિસોડમાં ખેદ વ્યક્ત કર્યો હતો. તેની ક્લિપ સોની ટીવીએ ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે, બુધવારના કેબીસી એપિસોડ દરમ્યાન અજાણતા છત્રપતિ શિવાજી મહારાજના નામને ખોટી રીતે લખવામાં આવ્યું. આ માટે અમને અફસોસ છે. અમે દર્શકોની ભાવનાને ધ્યાનમાં રાખીને પાછલા એપિસોડ દરમ્યાન સ્ક્રોલના માધ્યમથી ખેદ વ્યક્ત કર્યો છે.