થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે

મુખ્ય સમાચાર રાજકીય

ષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ભારતીય રાજનીતિનું એવું વડનું વૃક્ષ છે, જેને નાની-મોટી આંધીઓ તો શું મોટા-મોટા ઝંઝાવાતો પણ હલાવી ન શકે. નવેમ્બરમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમથી દૂર જો 2011ની 24 નવેમ્બર પર જઈએ તો એક રસપ્રદ ઘટના યાદ આવશે. આ એ સમય હતો જ્યારે શરદ પવાર તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ મંત્રી હતા. તેની સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. આ એ સમય હતો જ્યારે કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધ અન્ના હજારેનું આંદોલન શિખર પર હતું. યુવા રાજનીતિના ભ્રષ્ટાચારથી કંઈક વધુ જ નારાજ હતા. આવા સમયે એક સાર્વજનિક કાર્યક્રમમાં શરદ પવાર પણ ગયા હતા. કાર્યક્રમ ખતમ થયા બાદ જ્યારે શરદ પવાર ત્યાંથી જવા લાગ્યા તો અચાનક ભીડમાંથી એક યુવક આવ્યો અને તેણે શરદ પવારને ગાલ પર લાફો મારી દીધો. થપ્પડના પ્રહારથી પવાર એક સમયે હલી તો ગયા પરંતુ તેમના ચહેરા પર ગુસ્સાના કોઈ ભાવ નહીં આવ્યા. આ ઉપરાંત, તેઓ તાત્કાલીક પોતાની જાતને સંભાળીને પોતાના રસ્તે આગળ વધી ગયા. જ્યારે આ ઘટના ચર્ચામાં આવી અને કોઈ પત્રકારે અન્ના હજારે પાસે તેની પ્રતિક્રિયા માંગી તો અન્નાએ કહ્યુ, ‘બસ માત્ર એક જ લાફો માર્યો.’

એક જ ઘટના પર મહારાષ્ટ્રના બે લોકોની આવી પ્રતિક્રિયા હતી. એક તરફ શરદ પવાર હતા, જે થપ્પડ ખાઈને પણ નિર્વિકાર બની રહ્યા. બીજી તરફ અન્ના હજારે હતા જેઓ ઘટનાની નિંદા કરવાને બદલે કટાક્ષ કરવા લાગ્યા. આજે 8 વર્ષ બાદ પવાર રાજનીતિમાં એવી જ સ્થિતિમાં છે જે 8 વર્ષ પહેલા હતા, પરંતુ અન્ના હજારેની સાર્વજનિક જીવનમાં એવી સ્થિતિ નથી રહી જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન દરમિયા હતી.

દરેક સ્થિતિમાં પોતાને સંભાળી રાખવી શરદ પવારના વ્યક્તિત્વ અને રાજનીતિની ખાસિયત છે. સૌએ જોયું કે ગત શનિવારે જ્યારે શરદ પવાર ઊંઘી રહ્યા હતા તો તેમના ભત્રીજા અજિત પવારે બીજેપીની સાથે મળી નાયબ-મુખ્યમંત્રીના શપથ લઈ લીધા. પવાર જેવા પાકટ રાજનેતા માટે આ રાજકીય થપ્પડ જેવું જ હતું, પરંતુ તેઓએ તેના વિશે એવી જ પ્રતિક્રિયા આપી, જે 8 વર્ષ પહેલા પડેલા લાફા પર આપી હતી.

શરદ પવારે અજિત પવાર વિશે અત્યાર સુધી કોઈ આકરું નિવેદન નથી આપ્યું. આ ઘટના બાદ પણ એવું કહ્યુ કે રાજનીતિ અને પરિવાર અલગ-અલગ ચીજો છે. તેઓએ અભિષેક મનુ સિંઘવી સહિત અનેક કૉંગ્રેસી નેતાઓના કટાક્ષનું પણ માઠું લગાડ્યું નહીં. સિંઘવીએ કહ્યુ હતું, ‘પવાર તૂ સી ગ્રેટ હો.’

મહારાષ્ટ્રમાં મોટા ઉલટફેર બાદ પણ શરદ પવાર પોતાના કામમાં લાગેલા રહ્યા. તેઓએ શિવસેના અને કૉંગ્રેસનો વિશ્વાસ જીવંત કર્યો. ત્યારબાદ અજિત પવારની સાથે ગયેલા પોતાના ધારાસભ્યોને એક પછી એક પરત લઈ આવ્યા. તમામ ધારાસભ્યોની પરેડ કરાવી. આ ઉપરાંત, જે સિંઘવી તેમની પર કોમેન્ટ કરી રહ્યા હતા તે જ હવે વિપક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં શરદ પવારના ગઠબંધન માટે દલીલો રજૂ કરતાં જોવા મળ્યા. હવે તાજો ઘટનાક્રમ એ છે કે અજિત પવારે એનસીપીના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેઓ શું નિર્ણય લે છે એ અલગ વાત છે પરંતુ શરદ પવારે દરેક સ્તરે સંવાદ અને મેળ-મિલાપ તો કરી જ દીધા.

સૌને સાથે લેવાનું આ હુનર છે જે શરદ પવારને સૌથી અલગ બનાવે છે. તેઓ કૉંગ્રેસમાં કેટલી વાર આવ્યા અને કેટલી વાર ગયા, તેની ગણતરી કરવી મુશ્કેલ છે. જ્યારે ખુરશી સામે દેખાઈ તો તેઓએ પોતાનો નિર્ણય બદલવામાં વિલંબ ન કર્યો. જે સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે તેઓએ કૉંગ્રેસ છોડી, તેમની જ છત્રછાયામાં બનેલી સરકારમાં તેઓ મંત્રી બની ગયા.

મહારાષ્ટ્રમાં કૉંગ્રેસની ઓછી સીટી આવી હોવા છતાંય કૉંગ્રેસના મુખ્યમંત્રી સ્વીકારી લીધા. અને હવે જ્યારે રાજનીતિ ત્યાં સુધી પહોંચી તો પ્રખર વિરોધી શિવસેનાની સરકાર બનાવી રહ્યા છે. આ બધું કરવાની વચ્ચે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 40 મિનિટ માટે આરામથી મળી લે છે. શરદ પવાર માટે સૌના દ્વાર ખુલ્લા છે અને પવારના ઘરે પણ બધાનું સ્વાગત છે. પરંતુ આ મેળ-મિલાપમાં તેઓ પોતાનું લક્ષ્‍ય નથી ભૂલતા. તેઓ ભારતીય રાજનીતિનું એક પાત્ર છે જેની પાસેથી તેમના વિરોધી પણ કંઈક શીખવા માંગશે.