ભાજપમાં બળવાના સંકેત, પંકજા મુંડેએ કહ્યું, ‘8-10 દિવસમાં મોટો નિર્ણય લઈશ’

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના નેતા પંકજા મુંડે (Pankaja Munde) એ ફેસબુક દ્વારા બળવો પોકારવાના સંકેત આપ્યા છે. પંકજાના પિતા ગોપીનાથ મુંડેની જયંતી પર 12 ડિસેમ્બરના રોજ તેમણે પોતાના સમર્થકોની એક બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી BJP) ના આ દિગ્ગજ મહિલા નેતા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

પોતાની ફેસબુક પોસ્ટ પર પંકજાએ લખ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ સમર્થકોએ મને મળવા માટે અનેક ફોન અને સંદેશ મોકલ્યાં, પરંતુ રાજનીતિક સ્થિતિના કારણે હું તેમની સાથે વાત કરી શકી નહીં.

પંકજા મુંડેએ લખ્યું કે “8થી 10 દિવસ બાદ હું તમને સમય આપવા જઈ રહી છું. આ આઠ થી દસ દિવસો માટે મને પોતાની સાથે વાતચીત કરવાનો સમય જોઈએ છે. આગળ શું કરવાનું છે? કયા રસ્તે જવાનું છે? અમે અમારા લોકોને શું આપી શકીએ છીએ? તમારી તાકાત શું છે? લોકો શું આશા રાખે છે? હું આ બધા પર વિચાર રીને 12 ડિસેમ્બરે તમારી પાસે આવીશ.”

સોશિયલ મીડિયા પોસ્ટમાં પંકજાએ લખ્યું કે મારી પાસે કહેવા માટે ઘણું બધુ છે. મને વિશ્વાસ છે કે મારા તમામ સૈનિક રેલીમાં ભાગ લેશે. અત્રે જણાવવાનું કે પંકજા મુંડએ હાલમાં જ વિધાનસભા ચૂંટણી દરમિયાન પરલી વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી દાવેદારી કરી હતી. પંકજા મુંડેને તેમના જ પિતરાઈ ધનંજય મુંડેએ હરાવ્યાં હતાં. ધનંજય મુંડે એનસીપી નેતા છે. તેમણે પંકજાને 30 હજારથી વધુ મતોથી હરાવ્યાં હતાં.

અજિત પવારના નીકટ ગણાતા નેતા ધનંજય મુંડેએ આ વખતે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરલી બેઠકથી પંકજાની દાવેદારીનું સમર્થન કરતા પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતે અહીં પ્રચાર રેલી કરી હતી.