મજૂરી કરતા 134 બાળકોને મુક્ત કરાવવાનો મામલો, 70 બાળકો માતા કે પિતા વિનાના

ગુજરાત મુખ્ય સમાચાર

રવિવારે વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં સુરત અને રાજસ્થાન પોલીસ તથા એક એનજીઓના 80થી વધુ કર્મચારીએ દરોડા પાડી ઘરમાં સાડી પર સ્ટોન, જરી લગાવવાનું તેમજ ફોલ્ડિંગનું કામ કરતા 134 બાળકોને મુક્ત કરાવ્યાં હતાં. આમ આંતર રાજ્ય બાળકોની ગેરકાયદે હેરાફેરી કરીને બાળમજૂરી કરાવવાના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદ આ બાળકોને છોડાવીને તેમને પરત પોતાના વતન મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આઘાત જનક વાત તો એ છે કે આ બાળકોમાંથી 70 બાળકોના માં કે બાપ નથી અને તેમના વાલીને એક ટંક ખાવાની કે બાળક ખવડાવવા જેટલી આર્થિક શક્તિ પણ નથી. જેથી વાલીઓ દ્વારા આ બાળકોને સુરતમાં મજૂરી કામે મોકલ્યા હતા. આ બાળકો સુરતમાં હોવાની જાણ રાજસ્થાન બાળ આયોગ અને ગુજરાત બાળ આયોગને થયા બાદ એક સપ્તાહથી તેઓએ ગુપ્ત રીતે ઓપરેશન ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા હિંમતનગર પાસે પણ આ રીતે બાળકોને રેસ્કયુ કરીને બચાવવામાં આવ્યા હતા.

હાલ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છેઃ જાગૃતિબહેન પંડ્યા
આ અંગે ગુજરાત બાળ કલ્યાણ વિભાગના વડા જાગૃતિબહેન પંડ્યાએ  વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતમાંથી જે બાળકોને છોડાવવામાં આવ્યા તેમાંથી 125 બાળકો રાજસ્થાનના હતા. જેમને રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બીજા બાળકો ઝારખંડ અને બિહારના છે તે રાજ્યોને પણ જાણ કરવામાં આવી છે. હાલ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમની સ્થિતિ કેવી હતી તે અંગે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે રાજસ્થાનની ટીમે ગુજરાતની ટીમ અને પોલીસની મદદ પણ હતી. આ બાળકોમાં 70 જેટલા બાળકોના માં કે બાપ નથી અને તેઓ ખૂબજ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેમના વાલીઓએ જ ગુજરાતમાં બાળકોને મોકલી દીધા હતા. હવે રાજસ્થાન આયોગ દ્વારા તેમના વાલીને મળીને આ વિશે વાત કરીને કાર્યવાહી કરવામાં આવશે.