ચીનની જેલોમાંથી પણ 500 નવા કેસ સામે આવ્યા, 30 હજાર બેડની 19 નવી હોસ્પિટલ ખોલવામાં આવશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીન સહિત વિશ્વભરમાં કોરોના વાઈરસને લીધે ભયનો માહોલ છવાયો છે. શુક્રવારે ચીનની સરકારે અલગ-અલગ જેલમાં બંધ 500 કેદીઓમાં કોરોના વાઈરસના લક્ષણની પૃષ્ટિ કરી છે.ચીનના પ્રાદેશિક હેલ્થ કમિશનના મતે સૌથી વધારે કેસ વુહાનની મહિલા જેલમાંથી સામે આવ્યા છે.અહીં પૂર્વ શેડોંગ પ્રાંતના રેનચેંગ જેલમાં સાત ગાર્ડ અને 200 કેદીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પૂર્વિ ઝોજિંયાંગ પ્રાંતના શિલિફેંગ જેલમાં પણ 34 કેસ સામે આવ્યા છે. આ અગાઉ ગુરુવારે 271 કેસની પૃષ્ટી થઈ હતી. આ સાથે ગુરુવાર સુધીમાં ચીનના વુહાનમાં કુલ 45,346 કેસ સામે આવ્યા હતા.

25 ફેબ્રુઆરી સુધીમાં 30 હજાર બેડની 19 હોસ્પિટલ તૈયાર થશે

ચીન સરકારે દર્દીઓની વધતી સંખ્યાને જોતા 19 નવી શિફ્ટીંગ હોસ્પિટલ ખોલવાનો નિર્ણય કર્યો છે. વુહાનના ડેપ્યુટી મેયર હુ યોબોએ આ માહિતી આપી હતી. હુ યોબોએ કહ્યું હતું કે તમામ હોસ્પિટલ 25 ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. તેની ક્ષમતા 30 હજાર બેડની રહેશે. અહીં કોરોના વાઈરસના ઈલાજને લગતી તમામ અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ હશે. અત્યાર સુધીમાં વુહાનમાં આશરે 13 જગ્યાએ હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. તેમા 13,348 બેડની સુવિધા છે.

તમામ 406 ભારતીયોના અહેવાલ નગેટીવ આવ્યા

આ અગાઉ દિલ્હીના છાવલા સ્થિત ITBP ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવેલા તમામ 406 ભારતીયોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. 1 અને 2 ફેબ્રુઆરીના રોજ વુહાનથી પરત આવ્યા બાદ તમામને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારત હવે સંપૂર્ણપણે કોરોના વાઈરસના સંક્રમણથી મુક્ત છે. કેરળમાં સંક્રમિત ત્રણેય વિદ્યાર્થીની સ્થિતિમાં સુધારો થયો છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ચીનમાં નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)થી ગુરુવારે 118 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામનારની સંખ્યા 2,236 થઈ ગઈ છે. સંક્રમણના 75,465 કેસની પૃષ્ટી થઈ છે. બીજીબાજુ ઈરાને કહ્યું છે કે કોરોના વાઈરસના 13 કેસ નોંધાયા છે, જે પૈકી 2 વ્યક્તિના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું- લાખો લોકોનું થર્મલ સ્ક્રીનિંગ થયું

ભારતના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે લાખો લોકોના થર્મલ સ્ક્રીનિંગ બાદ કુલ 2,654 લોકોના નામૂના શંકાસ્પદ આધાર પર તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમા ફક્ત ત્રણ કેસ નેગેટીવ આવ્યા છે. ચીનના વુહાનથી 1 અને 2 ફેબ્રુઆરીના રોજ એર ઈન્ડિયાના વિમાનથી માલદિવના નાગરિકો સહિત કુલ 647 લોકોને બહાર કાઢ્યા હતા. તમામને દિલ્હીના ITBP અને માનેસરના સૈન્ય કેન્દ્રમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

જાપાની શિપ પર સંક્રમિત 8 ભારતીયની સ્થિતિમાં સુધારો

ભારતીય દૂતાવાસે શુક્રવારે કહ્યું હતું કે જાપાનના શિપ પર સંક્રમિત 8 ભારતીયની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગુરુવારથી અત્યાર સુધીમાં કોઈ યુવક સંક્રમિત થયાના અહેવાલ મળ્યા નથી. ભારતીયોને બહાર કાઢવા માટે જાપાનના અધિકારીઓ અને શિપના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ રહી છે. ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શિપ પર 634 લોકો સંક્રમિત છે.