ચારેય દોષિતોને એક સાથે ફાંસીના માચડે લટકાવાયાઃ નિર્ભયાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નિર્ભયા કેસના ચારેય દોષિતો વિનય, અક્ષય, પવન અને મુકેશને આજનો સૂરજ ઉગે તે પહેલા જ ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવ્યા છે. નિર્ભયા અને તેના પરિવારને સાત વર્ષ પછી ન્યાય મળ્યો છે.

દિલ્હીના રસ્તાઓ પર લગભગ સાત વર્ષ અગાઉ નિર્ભયાની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા ચારેય દોષિતોને ફાસીના માચડા પર લટકાવવા માટે હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી  છે. તમામ કાયદાકીય દાવપેચ લગાવી દીધા બાદ પણ આજે આખરે તેઓને ફાસીના માચડે લટકાવી દેવાશે. તિહાડ જેલમાં ફાંસીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આજે 5.30  વાગ્યે તેમને તેમના જઘન્ય અપરાધની સજા મળી જશે અને નિર્ભયાને સાત વર્ષ પછી ન્યાય.

ફાંસીના છેલ્લા દિવસે ચારેય દોષિતોમાંથી ફક્ત મુકેશ અને વિનયે જ રાતનું જમવાનું જમ્યુ હતું પરંતુ પવન અને અક્ષયે રાત્રે જમવાની પણ ના પાડી હતી. એક તરફ દોષીતોના વકીલ એ પી સિંહ આરોપ લગાવી રહ્યા છે કે દોષિતોને તેમના પરિવાર સાથે મળવા દેવામાં નથી આવ્યા તેવામાં બીજી તરફ દોષિત મુકેશના પરિવારે ફાંસીના થોડા સમય અગાઉ જ તેની સાથે મુલાકાત કરી છે.

– ચારેય દોષિતોને ફાંસી ઘર લઈ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક દોષિતે રસ્તામાં જ સૂઈ જઈને ફાંસી ઘર સુધી નહીં લઈ જવા માટે અધિકારીઓ સામે હાથ-પગ જોડ્યા.

– જલ્લાદ અને જેલ અધિકારીઓએ ફાંસીની અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી.

– જેલ પ્રશાસનના અધિકારીઓ કે જેમની દેખરેખ હેઠળ દોષિતોને ફાંસી અપાશે તેઓ ફાંસી ઘર ખાતે  પહોંચ્યા.

– સવારે સાડા ત્રણ વાગ્યે તમામ દોષિતોને ઉઠાડવામાં આવ્યા હતા અને નાહ્યા બાદ તેમને નવા કપડા પહેરવા માટે અપાયા.

– જેલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ત્રણે નાહવાની ના પાડી જ્યારે એક દોષિતે સ્નાન કર્યું.

– જેલ પ્રશાસને દોષિતોને ચા-નાસ્તા માટે પૂછ્યું પણ ચારમાંથી એકેયે ચા-નાસ્તો કરવાની હા નથી પાડી.

– જેલ પ્રશાસને દોષિતોને ફરી એક વખત તેમની અંતિમ ઈચ્છા પૂછી પરંતુ એકેય દોષિતે પોતાની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત નથી કરી.