મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
કોરોના સામે AMC ચાર સ્તંભ પર કામ કરે છે
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે. કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં 1) સર્વેલન્સ, 2) ટેસ્ટિંગ 3) પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને 4) સારી સારવાર. હાલ સંપૂર્ણ ધ્યાન સર્વે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ. આ રીતે ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. છેલ્લા પાંચ દિવસમાં કુલ ટેસ્ટ કરેલા સેમ્પલ 4 એપ્રિલ: 57, 5 એપ્રિલ: 166, 6 એપ્રિલ: 408, 7 એપ્રિલ: 638 અને 8 એપ્રિલ: 840. સમગ્ર અમદાવાદમાં આગામી દિવસોમાં આ કાર્યપધ્ધતિથી તપાસ કરવામાં આવશે. દરેકને વિનંતી છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપો. દિવસ રાત આરોગ્યના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તમારું જીવન બચાવવા માટે.
રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા
શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક 50 કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 133 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ 6 લોકોના મોત થયા છે જ્યારે 8 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોરોના ચેકપોસ્ટ પર થર્મલગનનો અભાવ
શહેરના કોટ વિસ્તારમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ છે. આજે વહેલી સવારથી એલિસબ્રિજ, આસ્ટોડિયા દરવાજા અને ખાડીયા રાયપુર દરવાજા પાસેની ચેકપોસ્ટ પર લોકોને ચેક કરવાની થર્મલ ગન ન હોવાના કારણે એકપણ વ્યક્તિને તપાસવામાં નથી આવી રહ્યો. પેરામેડીકલ સ્ટાફ વહેલી સવારથી ચેક પોઇન્ટ પર હાજર છે પરંતુ થર્મલગન ન હોવાથી તેઓ ચેક નથી કરી રહ્યા. પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ થર્મલગનની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારથી કેટલીક કોરોના ચેકપોસ્ટ પર આ કામગીરી અટકી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગઈકાલે જ આ ચેકપોસ્ટોની મુલાકાત લઈ તમામ સુવિધાઓની તપાસ કરી હતી. જો કે આજે સવારે જ અવ્યવસ્થા સર્જાઈ છે.
બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી
અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 83 પોઝેટિવ કેસ છે. જેમાંથી સાત લોકોને અત્યારસુધી રજા આપવામાં આવી છે અને પાંચ દર્દી મૃત્યુ પામ્યા છે. બુધવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝેટિવ કેસ નોંધાયો નથી. સોમવાર અને મંગળવારે કુલ 28 કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 200ના રિપોર્ટ આવ્યા હતા. 6 પોઝિટિવ અને 194 નેગેટિવ આવ્યા છે. બુધવારે વધુ 600 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે કાલુપુર રેલવે સ્ટેશનની સામે હજ હાઉસમાં નવું ક્વોરન્ટીન સેન્ટર ઊભું કરાયું, 50 લોકોને રાખી શકાય એટલી ક્ષમતા, નિકોલમાં જે લોકોને રખાયા હતા તેમાંથી જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેમને અહીંયા ક્વોરન્ટીનમાં મુકાયા છે.

