રાજ્યમા ચિંતાજનક રીતે સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે નવા 55 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 50 જેટલા કેસ ખાલી અમદાવાદમાંથી નોંધાયા છે. સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં જે નવા 50 કેસો નોંધાયા છે અને એકસાથે આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં છે તેનું કારણ હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે.
241 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ
જેમ જેમ કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા છે, તેમ તેમ લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ છે. જેમાંથી 33 વિદેશી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જ્યારે 176 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે. છેલ્લા 24 કલાકમાં 1788 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 62 પોઝિટિવ જ્યારે 1624 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. હજી 102 ટેસ્ટ પેન્ડિંગ છે. તેમજ અત્યારસુધીમાં કુલ 5760 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 241 પોઝિટિવ અને 5417 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. રાજ્યમાં કુલ 12352 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 11015 હોમ ક્વૉરન્ટીન, 1170 સરકારી અને 167 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં
રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર આંકડા જોઇએ તો અમદાવાદમાં 133 પોઝિટિવ કેસ અને 6ના મોત, સુરતમાં 25 પોઝિટિવ અને 4ના મોત, વડોદરામાં 18 પોઝિટિવ અને 2ના મોત, ભાવનગરમાં 18 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ, રાજકોટમાં 11 પોઝિટિવ કેસ, પાટણમાં 5 પોઝિટિવ અને 1નું મોત, પોરબંદરમાં 3 પોઝિટિવ કેસ, કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, આણંદ અને છોટાઉદેપુરમાં 2-2 પોઝિટિવ કેસ, પંચમહાલમાં 1 પોઝિટિવ કેસ અને 1નું મોત, જામનગરમાં 1 પોઝિટિવ કેસ અને એકનું મોત, મોરબી, સાબરકાંઠા અને દાહોદમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

