લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસતંત્ર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ ટીમ ફાળવાઈ છે. બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફની મહિલા ટીમ કાર્યરત કરવામાં આવી છે. અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે આ ઉપરાંત રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ પણ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ પણ સજ્જ કરાયો છે.
આ ઉપરાંત કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારો તથા ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી તેમજ સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા રાજ્યના સાયબર સેલ દ્વારા એક વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે, જેના ઉપર નાગરિકો અફવા કે ખોટી માહિતી અંગેની ખરાઈ અને ફરિયાદ પણ કરી શકશે.
લૉકડાઉન દરમિયાન લૉકડાઉનના ભંગ બદલ ડીટેઇન કરેલા વાહનો મુક્ત કરાવવા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. લૉકડાઉનનો અમલ કરાવવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરતા હોય તેઓની સામે પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો સપષ્ટ આદેશ પણ પોલીસ વડાએ આપ્યો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા 496 ગુના નોંધવામાં આવ્યા છે અને આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં કુલ-706 ગુનાઓમાં કુલ 1,194 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં અફવાઓ બદલ 36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે.

