રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 1,376 પર પહોંચ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ એકલામાં જ 240 કેસ નવા નોંધાયા હતા.
છેલ્લા 9 દિવસમાં 1196 કેસ
અમદાવાદમાં શનિવાર સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.
સૌથી વધુ કેસ; 862 પોઝિટિવ સાથે દિલ્હી, મુંબઈ, ઇન્દોર પછી અમદાવાદ ચોથું
અમદાવાદ દેશનું ત્રીજું મોટું હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 240 પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 862 પોઝિટિવ થઈ ગયા છે. અમદાવાદમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત 25 રાજ્યોથી વધુ કેસ છે. મુંબઈ અને દિલ્હી પછી અમદાવાદ સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતું ત્રીજુ શહેર છે.
ટોપ 5 શહેર
મુંબઈ – 3648
દિલ્હી – 1893
ઇન્દોર – 892
અમદાવાદ – 862
જયપુર – 519
સૌથી વધુ મોત; ગુજરાતમાં 53 મોત, મોતના મામલે દેશમાં ત્રીજા ક્રમે પહોંચ્યું
જે ઝડપથી ગુજરાતમાં પોઝિટિવ કેસ વધી રહ્યાં છે એટલી જ ઝડપે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવાર સુધી ગુજરાતમાં 53 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર 201 મોત સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે મધ્ય પ્રદેશ 62 મોત સાથે બીજા ક્રમે છે. બીજી બાજુ અમદાવાદમાં 25 મોત થયા છે જે 29 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ કરતા પણ વધુ છે. દેશમાં 13 રાજ્ય એવા પણ છે જ્યાં એક પણ મોત નોંધાયા નથી.

