કાયદામાં કર્યો ફેરફાર
મંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ કર્મી પર હુમલો કરનારાના જામીન મળશે નહીં. 30 દિવસમાં જ તેની તપાસ પુરી કરી દેવામાં આવશે. 1 વર્ષની અંદર જ આવા કેસમાં ચુકાદો આવી જશે. આવા કેસમાં 3થી 5 વર્ષ સુધીની સજા પણ થશે. આ કાયદામાં કરેલા ફેરફાર અનુસાર કોઈ સ્વાસ્થ્ય કર્મીની ગાડી પર હુમલો કર્યો તો, માર્કેટ વેલ્યૂના ડબલ ભરપાઈ કરવાની થશે.આ ઉપરાંત ગંભીર મામલામાં 6 મહિનાથી લઈ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. ગંભીર મામલામાં 50 હજારથી લઈ 2 લાખ સુધીનો દંડ પણ ફટકારાવામાં આવશે.
વિરોધ કરવાના હતા મેડિકલ સ્ટાફ
મેડિકલ સ્ટાફ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં ડોક્ટરો આજે સાંકેતિક પ્રદર્શન કરવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઈન્ડીયન મેડીકલ એસોસીએશન અને ડોક્ટરો સાથે વાત કરી અને તેમને સાંકેતિક વિરોધ પ્રદર્શન ન કરવાની અપીલ કરી છે. ગૃહમંત્રીએ ડોક્ટરોને આશ્વાસન અપાવ્યુ કે સરકાર તેમની સાથે છે.
અમિત શાહે આપ્યું આશ્વાસન
અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના ડોક્ટર્સ સાથે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી. મહત્વપુર્ણ છે કે દેશમાં કોરોના અંગે ચેકઅપ કરવા ગયેલા ડોક્ટર્સ પર હુમલાના અનેક બનાવો સામે આવી રહ્યા છે જેના પર ડોક્ટરો નારાજ છે અને એક કડક કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે.
ડોક્ટરોને દફન ન કરવા દીધા
શિલોંગ અને ચેન્નઈમાં કોરોના વાયરસનો ઈલાજ કરી રહેલા બે ડોક્ટરોના મોત થઈ ગયા હતા. તેમનો અંતિમ સંસ્કાર કરતી વેળાએ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ બંન્ને ડોક્ટરોના મૃતદેહોને કબ્રસ્તાનમાં દફન કરવામાં નહોતા આવ્યા. આ સિવાય મુરાદાબાદ અને ઈન્દોરમાં મેડિકલ સ્ટાફ પર હુમલાની ઘટના બની હતી.
વારંવાર બને છે દુર્વ્યવહારની ઘટના
કોરોનાને ડામવા માટે દિવસ રાત મહેનત કરી રહેલા ડોક્ટરો પર છાશવારે હુમલાની નિંદનીય ઘટના બનતી હતી. જે માટે આઈએમએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંકટનું આભ તૂટી પડ્યું છે. આવા સમયે ડોક્ટરોની સાથે ખભે ખભે મિલાવી કામ કરવાની જગ્યાએ તેમની સાથે દુર્વ્યવહાર જેવી ઘટનાઓ બને છે. આ વિરૂદ્ધ તમામ મેડિકલ સ્ટાફ નારાજ થયા હતા.

