મોદી સરકાર દ્વારા સેનાનો રાજકીય ઉપયોગના વિરોધમાં 150થી વધારે પૂર્વ સૈન્ય અધિકારીઓ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હોવાનો વિવાદ વકર્યો છે. ચૂંટણી સમયે જ પૂર્વ અધિકારીઓના વિરોધના કારણે દેશમાં ચૂંટણીનું વાતાવરણ વધારે ગરમાયું છે. બીજી તરફ સૂત્રો મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયને આ પ્રકારનો કોઇ પણ પત્ર મળ્યો નથી.
અહેવાલ છે કે લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે જ સૈન્યના પૂર્વ અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ મામલે પત્ર મોકલી આપ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો મુજબ તેમને આવો કોઇ પત્ર મળ્યો નથી. પર્વ વાયૂસેના પ્રમુખ એર ચીફ એનસી સૂરીએ આ મામલે જણાવ્યું કે, તેમણે કોઇ પત્ર લખ્યો નથી અને આ મામલે તેમની કોઇ મંજૂરી કે સંમત્તિ લેવાઇ નથી. તેમનું મંતવ્ય હતું કે, સેના કોઇ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી અને તે સરકારના આદેશ પર પણ કાર્ય કરતી નથી.
આ મામલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પણ સૂરીના મંતવ્યને સમર્થન આપતા આ પ્રકારની પ્રવૃત્તિની નિંદા કરી હતી. પૂર્વ અધિકારીઓનો પત્ર મળ્યો હોવાની બાબતે તેમણે કોઇ નિવેદન આપ્યું ન હતું. સેનાના પૂર્વ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિને મોદી સરકાર વિરુદ્ધ પત્ર લખાયા હોવાની વાત મળતા જ કોંગ્રેસે પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે, સેનાના પૂર્વ અધિકારઓએ સામે આવવું પડ્યું હોય. 156 પૂર્વ આર્મ્ડ ફોર્સિસ,જેમાં 8 પૂર્વ સેના, વાયૂ સેના અને નેવીના અધ્યક્ષ છે,જેમણે રાષ્ટ્રપિત રામનાથ કોવિંદને પત્ર લખી સેનાનો રાજકીય સ્તરે ઉપયોગ કરવાની વાત લખવામાં આવી હતી. મોદી અને શાહ સતત આ પ્રકારની વૃત્તિ કરી રહ્યા છે. યોગીએ સેનાને ‘મોદીની સેના’ કહી હતી. રાષ્ટ્રપતિએ આ મામલે તાત્કાલિક પગલા લેવા જોઇએ.

