ભારતે રવિવારે પાંચમી અને આખરી વન-ડે મૅચ ૩૫ રનથી જીતીને ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર સૌથી મોટો ૪-૧ના માર્જિનવાળો શ્રેણી-વિજય નોંધાવ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં વન-ડે સિરીઝ ૨-૧થી જીત્યા પછી હવે કિવી-લૅન્ડ પર બમણા તફાવતથી જીતીને ટીમ ઇન્ડિયાએ આગામી મે-જૂનના વન-ડેના વર્લ્ડ કપ પહેલાં બહુ સારો ઉત્સાહ પ્રાપ્ત કરી લીધો છે. ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યા બાદ ૨૦૧૩માં નિવૃત્ત થયેલા બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરે રવિવારે ભારતને આગામી વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ગણાવ્યું હતું તેમ જ ખેલાડીઓનો જોશ વધારતા નિવેદનમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમની સ્પર્ધાત્મક-શક્તિ એટલી બધી વધી ગઈ છે કે આ ટીમ હવે વિશ્ર્વના કોઈ પણ ભાગમાં કોઈ પણ પિચ પર કોઈ પણ સ્થિતિમાં જીતી શકે એમ છે.’

