રાહુલ ગાંધીએ કહ્યુ અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં મોદી 10 મિનિટ ચર્ચા કરી લે

મુખ્ય સમાચાર રાજકીય

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં 10 મિનિટ ચર્ચા કરવા પડકાર ફેંકયો છે. કૉંગ્રેસ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી વડા પ્રધાન અને ભાજપ પર અર્થતંત્ર નષ્ટ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યુ કે ભાજપ ચૂંટણી હારી રહી છે અને તે એમનાં મોં પર દેખાય છે. રાહુલ ગાંધીએ યુવાનોને બે કરોડ રોજગાર નહીં આપવાનો અને સેનાનું રાજકીયકરણ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યુ કે સેના હિન્દુસ્તાનની છે અને કોઈ એક વ્યકિતની નથી.

રાહુલ ગાંધીએ રફાલ કેસને મામલે ફરી એક વાર ‘ચોકીદાર ચોર હૈ’નો નારો રજૂ કર્યો છે. એમણે મોદી પર દેશની શાન જોખમમાં મુકવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યુ કે દેશના લાખો લોકોના અવાજ સામે એક મોદીનો અવાજ ન ચાલી શકે. વડા પ્રધાને એક પણ મુકત પત્રકાર પરિષદ નથી કરી એના લીધે દેશને નીચાજોણું થઈ રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ પત્રકારોને નરેન્દ્ર મોદીને આ માટે વિનંતી કરવાનું પણ કહ્યુ હતું.