ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાં ગુરુવારે આનંદ વિહાર એક્સપ્રેસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં અચાનક લાગેલી આગને કારણે હડકંપ મચ્યો હતો. લોકો આમથી તેમ ભાગવા લાગ્યા હતા, ટ્રેન ડ્રાઈવરે સમજદારી દેખાડતા ટ્રેનને રોકી જનરેટર રૂમ અને પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દીધા હતા. જાણકારી મુજબ મિર્જાપુરના કેલહટ રેલવે સ્ટેશન પાસે સવારે 11.30 વાગ્યે આનંદ વિહાર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. ત્યારે જ ટ્રેનના જનરેટર બોગીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી. ચાલુ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ટ્રેનના ચાલકે તુરંત કંટ્રોલ રૂમને સૂચના આપી અને જનરેટર રૂમ તથા પાર્સલ કોચને ટ્રેનથી અલગ કરી દીધા હતા. જે બાદ ઘટના સ્થળે પહોંચેલ કર્મચારીઓએ આગને પ્રસરતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે ટ્રેનની ત્રણ બોગી આગની લપેટમાં આવી ગઈ છે. ઘટનામાં કોઈપણ ઘાયલ હોવાની સૂચના મળી નથી. હાલ દિલ્હી-હાવડા રૂટ પ્રભાવિત છે. આ રૂટ પર ટ્રેનની અવરજવર અટકાવી દેવામાં આવી છે.

