ફિલ્મજગતના પીઢ કલાકાર દિન્યાર ક્રોન્ટ્રાકટરનું ૭૯ વરસની વયે બુધવારે સવારે નિધન થયું. વૃદ્ધાવસ્થાથી થતી તકલીફોથી તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. તેમના પરિવારના અનુસાર તેઓ લાંબા સમયથી માંદા હતા. ૨૦૧૯માં જ તેમને સરકાર તરફતી પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
દિન્યાર કોન્ટ્રાકટરે ૧૯૬૬માં કારકિર્દીની શરૃઆત કરી હતી. મુંબઇ દૂરદર્શનની ડીડી-૨ ચેનલ મુંબઇમાં લોન્ચ થઇ ત્યારે તેમણે અદી મર્ઝબાન સાથે કોમેડી સિરીયલ ‘આવો મારી સાથે ‘ કરી હતી. તેમણે ફિલ્મ ‘બાઝીગર, ૩૬ ચાઇના ટાઉન, ખિલાડી, બાદશાહ, જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. દિન્યારે ટચૂકડા પડદાના ઘણા શોમાં કામ કર્યુ હતું. તેમણે પોતાની કારકિર્દી થિયેટર આર્ટિસ્ટ તરીકે શરૃ કરી હતી. તેમણે હિંદી અને ગુજરાતીના ઘણા નાટકોમાં કામ કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અવસાન બદલ ટ્વિટર પર તેમની સાથેની એકતસવીર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતુ કે, ‘શ્રી દિન્યાર ક્રોન્ટ્રાકટર એક વિશેષ વ્યક્તિ હતા. તેમણે ઘણી બધી ખુશીઓ ફેલાવી છે. બહુમુખી અભિનયથી તેમણે ઘણા લોકોના ચહેરાપર મુસ્કાન લાવ્યું છે. રંગમંચ, ટચૂકડો પડદો કે પછી ફિલ્મો તેણે દરેક માધ્યમમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમના નિધનથી હું દુઃખી છું.’

