ઓડિશાના રાયગઢ નજીક હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત અમુક કોચ પાટા પરથી ઉતરી જતાં 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતાં આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
આ અંગે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે પી મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણેય રેલવે કર્મચારીઓ છે. આ ત્રણ વ્યક્તિઓમાં સુરેશ ટાવર કારમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. જયારે બાકીના બે વ્યક્તિઓમાં ગોર નાયડું અને સાગરનો સમાવેશ થાય છે, આ બંને અનુક્રમે ટેક્નિશિયન અને સિનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.
હાવડા-જમશેદપુર સોમલેશ્વરી એક્સપ્રેસ સિંગાપુર રોડ અને કુતગુડા રેલવે સ્ટેશનની વચ્ચે ટાવર કારને અથડાતા પાટા પરથી ઉતરી ગઈ હતી. ટાવર કારનો ઉપયોગ રેલવેના વિવિધ થાંભલાઓ સહિતની વસ્તુઓના મેન્ટેનન્સ માટે કરવામાં આવે છે.
આ ઘટના બાદ પેસેન્જર ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનનું એન્જિન, લગેજ વાન અને સેકન્ડ કલાસનો એક જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. જોકે બાકીની ટ્રેન સાથે રેક જોડવામાં આવ્યો ન હોવાથી પેસેન્જર્સને ઈજા થઈ ન હતી. પછીથી ટ્રેનને રાયગઢ પરત મોકલી દેવામાં આવી હતી. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે ઓથોરીટી આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધ છે. આ મામલાની તપાસ રેલવે સેફટી કમીશનર, કોલકતા દ્વારા કરવામાં આવશે.

