કુંભ સ્નાન બાદ મુખ્યમંત્રી રૂપાણીએ સંત-મહંતોના આશીર્વાદ લીધા

ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભસ્નાન ગંગા મૈયામાં ડુબકી લગાવીને કર્યું હતું. તેમણે આ કુંભમેળામાં સ્નાન કર્યા બાદ જણાવ્યું કે ગંગા મૈયા સમક્ષ દેશ અને રાજ્યની ઉન્નતિ, સૌના સાથ – સૌના વિકાસની મંગલકામનાઓ વાંચ્છી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં આ પવિત્ર કુંભ એ સામાજિક સમરસતાનું એક આગવું પ્રતિક છે. કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક મેળાનો લાભ લેવા અને પવિત્ર સ્નાન માટે આવે છે. તે અર્થમાં આ મેળો ભારતની એકતા-અખંડિતતાનું પ્રતિક પણ છે. રૂપાણીએ આટલા વિશાળ આયોજનમાં સ્વચ્છતા, સુરક્ષા અને કોઇ પણ જાતની કચાશ ન રહે તેની સંપૂર્ણ કાળજી લઇ એડવાન્સ પ્લાનિંગ – માઇક્રો પ્લાનિંગ માટે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવ્યા હતાં. મુખ્યમંત્રીએ કુંભમેળામાં સ્નાન પૂર્વે અખિલ ભારતીય પંચ નિર્મોહી અનિ અખાડાના સંતવર્યોની તેમજ પ્રયાગરાજના પવિત્ર ઐતિહાસિક વડની પણ મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યાં હતાં અને દર્શન કર્યા હતાં.